દેશભક્તિના માહોલનું સર્જન
વાંકાનેર: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં વાંકાનેર વાસીઓ ઉમંગભેર જોડાયા હતા. જેના થકી વાંકાનેરમાં દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સર્વે ઉપસ્થિતોને સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત એકતા પદયાત્રા અન્વયે શુભેચ્છાઓ પાઠવી હતી. વક્તા વર્ષાબેન દોશીએ લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં તેમની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું.

રાતીદેવડીથી વાંકાનેર નગરપાલિકાના ટાઉનહોલ સુધી આયોજિત આ એકતા પદયાત્રા થકી વાંકાનેરમાં ઉત્સવ અને દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું. અનેક જગ્યાઓએ એકતા પદયાત્રાને નિહાળવા અને તેનું અભિવાદન કરવા લોકો રસ્તાઓ ઉપર એકત્ર થયા હતા. આ યાત્રામાં વિશાળ જનમેદની સહભાગી બની હતી, અનેક સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ શાળાઓએ ઠેર ઠેર આ યાત્રાને ઉમંગભેર આવકારી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોથી આ યાત્રાનો અભિવાદન કર્યું હતું. વાંકાનેરની મુખ્ય બજારમાં વિવિધ વેપારીઓએ આ યાત્રા પર પુષ્પ વર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું હતું. વાંકાનેર નગરપાલિકાના ટાઉનહોલ ખાતે એકતા શપથ ગ્રહણ કરી આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, વાંકાનેર પ્રાંત અધિકારી ડો. વિપુલ સાકરીયા, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, મામલતદાર કે.વી. સાનિયા, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા…



