ખેડૂતો મિત્રો ! આ 5 યોજનાઓ જાણો અને લાભ ઉઠાવો
ખેડૂતોની સુખાકારી માટે સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. કેટલીક યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો કેટલીક યોજનાઓમાં ખેતીને લગતા સાધનો માટે સબસીડી મળતી હોય છે. આ ઉપરાંત ખેડૂતોને તેમની જણસના યોગ્ય ભાવ મળી રહે તે માટે પણ સરકાર યોજના ચલાવી રહી છે. ત્યારે ખેડૂતો માટે ચાલતી ટોચની પાંચ યોજના અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર હસ્તકના નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ સ્કીમ અમલમાં છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટ કોલ્ડ સ્ટોરેજ બનાવવાના ખર્ચથી 50% અથવા તેથી વધુની હોઈ શકે છે. આ ઉપરાંત ખેડૂતો ઓછા વ્યાજે લોન પણ મેળવી શકે છે. સામાન્ય રીતે નાના કોલ સ્ટોરેજ પાછળ રૂપિયા 10 લાખ જેટલો ખર્ચ થાય છે. કોલ્ડ સ્ટોરેજમાંથી ઘણો ફાયદો થાય છે. આવી સ્થિતિમાં આ સબસીડીનો ખેડૂતો લાભ લઈ શકે છે. સબસીડી માટે અરજી ઓનલાઇન કરવાની રહે છે.
વર્તમાન સમયે શહેરીકરણ વધી ગયું છે. શહેરોમાં રહેતા આજના યુવાનો ખેતી કઈ રીતે થાય છે તે જાણતા નથી. આવી સ્થિતિમાં લોકો ખેતી કઈ રીતે થાય છે તે જાણવા ઉત્સુક હોય છે. તેઓ ગામડામાં આવીને પ્રક્રિયા જાણવા માંગે છે. ત્યારે ખેડૂતોને એગ્રો ટુરીઝમ સ્કીમ કામમાં આવી શકે છે. આ સ્કીમ હેઠળ જમીન ધરાવતા ખેડૂતો પોતાની જમીન એગ્રો ટુરિઝમમાં કન્વર્ટ કરી શકે છે. આ સ્કીમની મદદથી ખેડૂતો અવનવા વૃક્ષો – છોડવા વાવી શકે છે. બગીચા બનાવી શકે છે. પર્યટન વિભાગ એગ્રો ટુરીઝમ હેઠળ 25% જેટલી સબસીડી ફાળવતું હોય છે.
પશુપાલન પણ કૃષિ ક્ષેત્રનો જ ભાગ છે. આજના સમયે ગામ અને શહેરના લાખો લોકો પશુપાલન સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા છે. તેઓ દૂધ અને તેનું અન્ય પ્રોડક્ટ વેચીને કમાણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર હસ્તકનું નાબાર્ડ ડેરી પશુપાલન યોજના ચલાવે છે. જેમાં સબસીડી આપવામાં આવે છે. સામાન્ય રીતે આ સબસીડી 25% સુધીની છે અને તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે.
ખેતી કરવા માટે ટ્રેક્ટર મહત્વનું સાધન છે. તેની ખરીદી માટે પણ સરકાર સબસીડી આપી રહી છે. આ સબસીડી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મળે છે. જેમાં 40 ટકા સુધીની સબસીડી ખેડૂતોને આપવામાં આવતી હોય છે. આ સબસીડી મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે.
ઘઉં સહિતના અનાજના હાર્વેસ્ટિંગ માટે હાર્વેસ્ટરની જરૂર પડે છે. હાર્વેસ્ટરની કિંમત 40 લાખ જેટલી ઊંચી છે. નાના ખેડૂતો હાર્વેસ્ટર ખરીદી શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર હાર્વેસ્ટર ખરીદવા માટે પણ સબસીડી આપે છે. રાષ્ટ્રીય કૃષિ યોજના હેઠળ હાર્વેસ્ટરની ખરીદીમાં 40% એટલે કે 15 સુધીની સબસીડી મળતી હોય છે.