દેશની તમામ ગ્રામ પંચાયતોને સ્વતંત્રતા દિન સુધીમાં આવરી લેવાશે
નવી દિલ્હી : દેશભરની તમામ પંચાયતો માટે આ સ્વતંત્રતા દિવસથી વિકાસ કાર્યોના પેમેન્ટ અને મહેસૂલી આવક માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત કરાઈ છે. આ સાથે બધી જ ગ્રામ પંચાયતોને યુપીઆઈનો ઉપયોગ કરતી હોવાનું જાહેર કરી દેવાશે. પંચાયતી રાજ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો જેવા મુખ્ય મહાનુભાવોની હાજરીમાં યુપીઆઈ ઉપયોગ કરનારી પંચાયતોની ‘જાહેરાત અને ઉદ્ઘાટન’ કરવું જોઈએ.
હવે માત્ર બે ટકા પંચાયતો UPI પેમેન્ટથી જોડાવાની બાકી
પંચાયતી રાજ મંત્રાલયના સચિવ સુનીલ કુમારે જણાવ્યું કે લગભગ 98 ટકા પંચાયતોએ યુપીઆઈ આધારિત ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે હવે માત્ર બે ટકા પંચાયતો જ યુપીઆઈ આધારિત ચૂકવણી વ્યવસ્થા સાથે જોડાવાની બાકી છે. સુનીલ કુમારે કહ્યું કે, “પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PMFS) દ્વારા લગભગ રૂ. 1.5 લાખ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. હવે પંચાયતોને ચૂકવણી ડિજિટલ રીતે કરવામાં આવશે. ચેક અને રોકડ દ્વારા ચૂકવણી લગભગ બંધ થઈ ગઈ છે. હવે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા લગભગ દરેક જગ્યાએ પહોંચી ગઈ છે. અમે લગભગ 98 ટકા પંચાયતોને આવરી લીધી છે.”
પંચાયતોએ 30 જુલાઈ સુધીમાં વેન્ડરનું નામ આપવું પડશે
પંચાયતોને સેવા પ્રદાતાઓ અને વિક્રેતાઓ સાથે 30 જૂને બેઠક યોજવાનું પણ કહેવામાં આવ્યું છે. Google Pay, PhonePe, Paytm, Bhim, Mobikwik, WhatsApp Pay, Amazon Pay અને Bharat Pay જેવા UPI પ્લેટફોર્મના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો ધરાવતી યાદી મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી છે. મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, પંચાયતોએ 15 જુલાઈ સુધીમાં યોગ્ય સેવા પૂરી પાડનારની પસંદગી કરવી પડશે અને 30 જુલાઈ સુધીમાં ‘વેન્ડર’નું નામ આપવું પડશે. પંચાયતોને એક જ ‘વેન્ડર’ પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે જે સમગ્ર વિસ્તારને આવરી લે છે. વાસ્તવિક સમયમાં વ્યવહારો પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીયકૃત ડેશબોર્ડ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ભ્રષ્ટાચારને કાબુ કરી શકાશે : રાજ્યમંત્રી પાટિલ
જિલ્લા અને બ્લોક સ્તરે અધિકારીઓ માટે તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે. પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલે કહ્યું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની શરૂઆતથી ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં મદદ મળશે. તેમણે કહ્યું, “હવે મોટાભાગની પંચાયતો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહી છે. તેનાથી ભ્રષ્ટાચારને ડામવામાં મદદ મળશે.
સરકારી ડેટા અનુસાર, માત્ર જાન્યુઆરી 2023માં BHIM દ્વારા રૂ. 12.98 લાખ કરોડના 806.3 કરોડ વ્યવહારો થયા હતા. તેમાંથી લગભગ 50 ટકા વ્યવહારો ગ્રામીણ અને આસપાસના વિસ્તારોમાં થયા છે.