રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા ફરાર કુખ્યાત આરોપી મીરઝાદ અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણીને વાંકાનેર ખાતેથી દબોચી લીધો છે.

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 માં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી મીરઝાદ અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણી ફરાર હતો તેની સામે ગુનો નોંધાયો હોય ત્યાર બાદ આ કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. હવા મંજીલ મકાન, ભીસ્તીવાડ, મોરબી હાઉસ પાસે રહેતો મીરઝાદ અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણી સહીત આ ગેંગના 10 ઇસમો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.



આ ગેંગે વર્ષ 2011 થી 2020 સુધીમાં 76 ગુના આચર્યાનું સ્પષ્ટ થયું હતું, ફરાર હકુભા ખીયાણી વાંકાનેર હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ગોહિલની ટીમના એ.એસ.આઈ. વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ સબાડ, તુલશીભાઇ ચુડાસમા અને સંજયભાઈ ખાખરીયાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તુરંત કાર્યવાહી કરી આરોપીને વાંકાનેરથી ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીને રાજકોટ લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને આગળની તપાસ અર્થે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે…

