ડોક્ટરની દવા નકલી…નેતાઓના દાવા નકલી…બધુ જ નકલી છે!
નકલી દવા, નકલી દાવા, નકલી નોટો, નકલી નાકા, નકલી પોલીસ બાદ નકલી જજ!
અમદાવાદઃ ગુજરાતમાં હાલ જે રીતે નકલીનું ચલણ ચાલ્યું છે, જ્યાં એક બાદ એક બધુ જ નકલી એટલે કે, બોગસ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ નકલી હોવાનું ઘણીવાર સામે આવી ચુક્યું હતું હવે તો જજ પણ નકલી આવ્યાં.
પહેલાં દવાઓ નકલી આવી, પછી દવા આપનાર ડોક્ટરો નકલી આવ્યાં, પછી નકલી માર્કશીટ આવી, પછી નકલી ઉમેદવાર પરીક્ષા આપી ગયા, પછી નકલી પરિણામો આવ્યો, પછી નકલી દવાઓ આવી જેમાં સિરપના નામે નશો કરાતો હતો, પછી નકલી ટોકનાકું પકડાયું, આટલું પુરતું નહોંતું તો નકલી પોલીસ, નાની પોલીસ પછી અધિકારીઓ નકલી, ત્યાં સુધી કે નકલી IPS અધિકારી, CMO અને PMO માં કામ કરતા હોવાનું કહીને રોફ મારતા નકલી અધિકારીઓ, મંત્રીના નકલી પીએ, નકલી ડોક્ટરો, નકલી સરકારી કચેરીઓ આટલું બધું ગુજરાતમાં નકલી એટલે કે સાવ બોગસ હોવાનું અત્યાર સુધી સામે આવી ચુક્યું છે. નકલીમાં ગુજરાતનો નંબર આગળ વધારવા વધુ એક છલાંગ કોઈકે લગાવી છે. જેમાં હવે કોર્ટમાં નકલી જજ હોવાનું સામે આવ્યું છે. જીવનમાં બસ હવે એક આ જ જોવાનું બાકી રહી ગયું હતું. એ પણ જોઈ લીધું.
એટલું જ નહીં નકલી જજના નામે નકલી વોરંટ પણ ઈશ્યૂ કરી દેવાતા આ ભાંડો ફૂટ્યો છે. જે નામના કોઈ જજ નથી તેમના નામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નકલીએ તો હવે તમામ હદ્દો વટાવી દીધી છે. સામાન્ય રીતે કહેવાય છે કે, ચાઈનાની વસ્તુઓનો કોઈ ભરોસો નહીં એ બધી નકલી હોય છે. પણ હવે તો આપણાં ગુજરાતમાં વસ્તુઓ નહીં આખાને આખા માણસો નકલી બની રહ્યાં છે, ક્યાં જઈને અટકશે આ સિલસિલો?
પ્રાપ્ત માહિતી મુજબ શાહીબાગ વિસ્તારમાં રહેતા કમલેશકુમાર શંકરલાલ પટેલ સુગમ કોર્પોરેશન નામથી પેઢી ચલાવતા હતા. તેમને એક કામદાર કૃષ્ણકાંત સાથે તકરાર થતા લેબર કોર્ટમાં કેસ કર્યો હતો. જો કે, તે કેસમાં નોટરી રૂબરૂ સમાધાન કરી લીધુ હતું. થોડા સમય પહેલાં કમલેશકુમારને પોલીસ તરીકે ઓળખ આપી ધવલકુમાર પ્રવીશભાઈ બારોટે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું શહેરકોટડા પોલીસ મથકમાંથી વાત કરું છું. તમારી સામે બિન જામીનલાયક વોરંટ છે તેથી તમે વકીલ અને જામીનદાર લઇને આવી જાવ. નહીં આવો તો અમે ગાડી લઈને લેવા આવીશું. તમારી પર ચાર કલમ લાગી છે. જો પોલીસ સ્ટેશન ન આવવું હોય તો બહાર પણ મળી લઈશું.
જામીનદારને લઇ જે કોર્ટનું વોરંટ હતુ ત્યાં પહોંચ્યા તો ત્યાં જજનું નામ બીજુ લખેલું હતું. ત્યાં બોર્ડ પર લગાવેલ કેસો ચેક કરતા કમલેશકુમારનો કોઇ કેસ જ ન હતો. જેથી કમલેશકુમારે સ્ટાફને વોરંટનો ફોટો ફોનમાં બતાવતા આવો કોઇ કેસ ત્યાં ચાલતો જ ન હોવાનું સામે આવ્યું હતું.
વ્યંગ:
હમણાં એક ગામમાં નકલી એસબીઆઈ બેંક પકડાઈ.
પત્રકાર ગામના લોકોને મળ્યા અને પૂછ્યું “તમને કેમ ખબર પડી કે બેંક નકલી છે?”
તો એક ભાઈ કહે “કામ બધું બોવ સ્પીડમાં થાતુ તું, કોઈ કાઉન્ટર ચેન્જ ના કરવું પડતું, એ લોકો ધક્કા ખવડાવે નહિ, લાંબી લાઈનો નહિ અને જે પૂછીએ એનો વ્યવસ્થિત સભ્યતાથી જવાબ આપે. એટલે અમને શંકા ગઈ”