દર્દીના પરિવારજનોનો આક્ષેપ
રૂ. 2.50 લાખ માંગ્યા, દર્દીના સગાએ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો
સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા
રાત્રે સાડા ત્રણ વાગ્યે દર્દીનું મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યું, તબીબે સવારે સાત વાગ્યે ઓપરેશન કરવુ પડશે તેવું કહેતા શંકા ગઈ
રાજકોટમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં વોકહાર્ટ હોસ્પિટલ સામે થયેલો આક્ષેપ અતિગંભીર છે. વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું હોવાનો આક્ષેપ છે. ડોકટરે રૂ। 2.50 લાખ માંગ્યા હતા. જોમે દર્દીના જાગૃત સગા એ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો. સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. દર્દીના સગાવો એ કહ્યું કે અમે મોટી છેતરપિંડીથી બચ્યા છીએ.

આ અંગે મળતી વિગત મુજબ, મોરબીના માળીયા વનાળિયા ગામે રહેતા સતિષભાઈ હરિભાઈ રાઠોડ (ઉં. વ.37)ને ગઈકાલે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેને અકસ્માત નડતા ગંભીર ઇજા થઈ હતી. સતિષભાઈને પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. રાત્રે ત્રણ વાગ્યા આસપાસ તેમણે દમ તોડી દીધો હતો.

દર્દીના સગાઓનો આક્ષેપ છે કે સતિષભાઈના મૃત્યુ બાદ પણ વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા સતિષભાઈ નું ઓપરેશન કરવું પડશે તેમ કહીને અઢી લાખ રૂપિયા ની માંગણી કરી હતી. જેથી હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે બોલાચાલી થઈ હતી દર્દીના સગાનું કહેવું હતું કે સતિષભાઈ નું મૃત્યુ થઈ ગયું છે છતાં ઓપરેશન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
આપણે સતિષભાઈને અત્યારે સિવિલ હોસ્પિટલે લઈ જઈએ. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સતિષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તુરંત જ ત્યાં તપાસીને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સતિષભાઈને સંતાનમાં 1 દીકરી અને 1 દીકરો છે. પોતે ડ્રાઇવિંગ કામ કરતા હતા.
સૌજન્ય: સાંજ સમાચાર