લાલપરમાં બાય પાસ માટેના થાંભલા ખોડાઈ ગયા
કેરાળાના ખેડૂતોએ થાંભલા ખોડવા ન દીધા
વહીવટી તંત્રે વળતરનો ફોડ પાડવો જરૂરી
વાંકાનેર બાય પાસમાં ધમલપર, કેરાળા અને લાલપરના ખેડૂતોની કપાત જમીન માટે વાંધો છે, આ ત્રણેય ગામના ખેડૂતોને અલગ અલગ તારીખે કલેકટરશ્રીએ બોલાવ્યા છે. લાલપરમાં બાય પાસ માટેના થાંભલા સરકારી તંત્ર ખોડી ગયું છે, આગેવાનોનો આક્ષેપ છે કે તલાટીએ થાંભલા ખોડાઈ ગયા પછી જાણ કરી હતી, અને બપોરના સમયે છાનામાના ખોડી જતા રહ્યા છે, કેરાળાના ખેડૂતોએ થાંભલા ખોડવા દીધા નથી, જમીનનું વળતર કેટલું મળશે, એ અંગે ખેડૂતોને કોઈ જાણકારી આપવામાં આવી નથી.



એક વાત નક્કી છે કે સરકાર જમીન સંપાદન તો કરી જ શકે છે, આ ત્રણેય ગામની રજુઆતનો સૂર એક જ રહે, માંગણી સમાન રહે તો જ કંઈક પરિણામ આવે, અત્યારે જ્યાં બાય પાસ કરવાની વાત છે, તેમાં ધાર્મિક જગા ઉપરાંત જમીન કપાત પણ વધારે થાય છે, આ માટે નવો રોડ જ્યાં સૂચવાય તે ત્રણેય ગામના આગેવાનો અને ખેડૂતો તથા સંબંધકર્તા ઉદ્યોગપતિઓએ એક મિટિંગ ભરી કલેકટરશ્રી પાસે જતા પહેલા એકમત કરી નક્કી કરી લેવું જોઈએ અને જે વાત નક્કી થાય તે જ રજૂઆત ત્રણેય ગામે કરવી જોઈએ, સમય થોડો છે, એક-બે દિવસમાં જ મીટીંગનું આયોજન થવું જોઈએ. એક સિમ ભણી તાણે- બીજો ગામ ભણી તાણે, એવું ન બનવું જોઈએ. કોઈ આગેવાન કે ઉદ્યોગપતિને દોષ દેવો વ્યાજબી નથી. રાજકીય મોટા આગેવાનોને પણ સાથે રાખવા જોઈએ.
મળેલ જાણકારી મુજબ લુણસરીયા ચેકડેમથી નીચે થઇ મચ્છુ નદીમાં પુલ બાંધવામાં આવે અને કેરાળાથી રસિકગઢનો જે જૂનો 70 ફૂટ પહોળો રસ્તો છે અને જે લિંબાળાની ધાર પછી હાઇવે મેઈન રોડને ટચ થાય, ખરાબો વધુ આવતો હોઈ માત્ર થોડા ખેડૂતોની જમીન જ કપાય, ત્યાં બાયપાસ બનાવાય તો સરકારશ્રીને વળતર ઓછું ચૂકવવું પડે, ગ્રામ્ય વિસ્તાર પણ ન આવે, નક્કી ખેડૂતો અને સંબંધકર્તા ઉદ્યોગપતિઓએ કરવાનું છે, પણ ખેંચાખેંચીને બદલે એક થઈને. સાંઠો સાંઠો કપાશે, પૂળો નહીં કપાય.
બિનખેતી અંગે સરકારશ્રીએ અગાઉ પરિપત્ર બહાર પાડી રાજ્ય સ્તરે જ્યાં જમીન સંપાદન કરવાની જરૂર ઉભી થાય, ત્યાં છ મહિનાની અંદર કોઈ બિનખતી ન કરવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે, એટલે હવે કોઈ આ બાયપાસમાં કપાતી જમીનની બિનખેતી મૂકે તો મંજુર થાય જ નહીં, અથવા બિનખેતીના ભાવે વળતર મળે એવી જો કોઈ માંગ મૂકે તો વહીવટીતંત્ર એને સંમત્તિ જ માનશે, અને ઉલ્ટાના ભેખડે ભરાશો, માટે બિનખેતીનું ગાણું ન ગાવું એ જ ખેડૂતોના હિતમાં છે, હવે બિનખેતી ભુલી જાવ, ચોક્કસ કિલોમીટરનું અંતર બાયપાસનું હોવાનો કક્કો પણ ખોટો છે, બાયપાસના બંને છેડા જ્યાં ભેગા થાય ત્યાં અંતર કેમ જળવાય?
ધ્યાન એ તરફ આપો કે વળતર વધુ મળે, હજુ ગઈ કાલે જ મોરબીના વેગડવાવ ગામમાં અગાઉના રૂપિયા 14.57 લાખ સામે 58.61 લાખ એમઆરસીમાં નક્કી કરાયા છે, એક થઈ રજુઆત કરો તો જ સંભળાશે, બાકી જેતપર જેવું આંદોલન કરવાનું વાંકાનેરવાસીઓનું ગજુ નથી..

