આપણે નોટબંધી જોઇ, એને કારણે અચાનક ક્યારેય ન અનુભવેલી મુશ્કેલીઓના મહામાર્ગ પરથી પસાર પણ થયા. હવે રૂપિયા ૨૦૦ની નોટ બહાર પડી છે. આપણે આજકાલ નોટોના ચકકરમાં ચકરડી ફરી રહ્યા છીએ ત્યારે ઇતિહાસના પાનાં ફેરવીને એનું ઐતિહાસિક મૂલ્ય પણ આંકી જોઇએ.
ભારતની આધુનિક પેપર કરન્સીના મુળ ૧૮મી સદીમાં છે. એ વખતે ખાનગી અને અર્ધ સરકારી બેંકો નોટો ઇશ્યુ કરતી હતી. ૧૮૬૧ના પેપર કરન્સી એકટ સરકારને નોટો બહાર પાડવાની મોનોપોલી આપી હતી. સરકારે આ કાર્ય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ની સ્થાપના થઇ ત્યાં સુધી એટલે કે પહેલી એપ્રિલ ૧૯૩૫ સુધી કર્યુ. સરકારે એક રૂપિયાની નોટ બહાર પાડવાનું કામ ૧૯૯૪ સુધી કર્યું. બ્રિટિશ રાજમાંથી ભારત સ્વતંત્ર થયું એની સાથે કરન્સી મેનેજમેન્ટ અને ડિઝાઇને પણ સંક્રમણ કાળમાંથી પસાર થવું પડયું. સરકારે ૧૯૪૯માં એક રૂપિયાની નોટની પ્રથમ નવી ડિઝાઇન બહાર પાડી. બચેલી નોટો પરથી કિંગનું ચિત્ર કાઢી નાખવાનું આ કામ હેન્ડ વર્ક હતું. જેની બચી ગયેલી આ નોટો નવી ડિઝાઇન લવાય નહીં ત્યાં સુધી આ જ વાપરવાની હતી. સરકારે મહાત્મા ગાંધીનું ચિત્ર મુકવાનું વિચાર્યું પણ અંતે સારનાથ સિંહનું પ્રતિક મુકવામાં આવ્યું.
૧૯૫૩: ચલણી નોટો પર નંબરો તેમ જ હિન્દીમાં લખાણ હતું. ભારતીય ચલણને હિન્દીમાં ‘રૂપયા’ અને બહુવચનમાં ‘રૂપિય’ કહેવાનું સર્વાનુમતે નકકી કરાયું. ભારતમાં પ્રથમ ડિમોનિટાઇઝેશન ૧૯૭૮માં થયું: સરકારે રૂ.૫૦૦૦ અને ૧૦,૦૦૦ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધી. એ વખતના વડાપ્રધાન મોરારજી દેસાઇએ ભ્રષ્ટાચારને ખાળવા માટે રૂ.૧૦૦થી ઉપરની તમામ નોટો પર બંધી કરી દીધી.
૧૯૮૦: એંસીના દાયકામાં પ્રગતિ અને વિજ્ઞાન તેમ જ ભારતીય કળા દર્શાવતી નોટો બહાર પાડવામાં આવી. બે રૂપિયાની નોટ પર આર્યભટ્ટ અને એક રૂપિયાની નોટ પર તેલની સારડીનું પ્રતીક હતું. રૂપિયા દસ અને વીસની નોટો પર કોનાર્ક વ્હીલ અને મોરનું પ્રતીક હતું. આજે આપણે જાણીએ છીએ એ રોકડ ૧૯૯૬માં મહાત્મા ગાંધીની સિરીઝ આવી. આ નોટોમાં નવી વોટરમાર્ક, વિન્ડો સિક્યોરિટી થ્રેડ, ગુપ્ત પ્રતીક અને પ્રજ્ઞાચક્ષુઓ માટે કોતરેલા ફીચર્સ છે.
દેશની બીજી નોટબંધીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ની ચલણી નોટોને રદ કરવાની ઘોષણા કરી. ભ્રષ્ટાચારને નાબુદ કરવા તેમજ બનાવટી નોટોને ચલણમાંથી બહાર મુકી દેવાના આશય સાથે મોદીએ આ જાહેરાત કરી એના બીજા જ દિવસથી આ બન્ને નોટો રદ થઇ ગઇ હતી.