વાંકાનેરના ઘોડા છૂટ્યા, છૂટેલા અસવારોએ ધુનડા ગામના ચોકમાં જઈને જલાલની પૂછપરછ આદરી
હપ્તો: બીજો
‘પછી એટલું બોલ્યા કે વખત વખતનું કામ કરશે’
‘ત્યારે પાછો સોનાનો સૂરજ ઉગશે ખરો’
જલાલને આશા બંધાણી પણ અમી બોલી ગયો, ‘બાપુ સત્તા પર આવે તે દિ’ આપણે શેના સાંભરીયે?’
‘અરે, બોલ્ય માં દીકરા, અમરસિંહ બાપુ ગાદીએ બેઠા ભેળા આપણને રાતીદેવરીના ઘરખોરડાં ને ખેડ પાછી આપી દેશે.’
વાત વીંટીને બાપ દીકરો પોઢી ગયા. સવાર થતા મજૂરીના કામમાં લાગી ગયા. વરસ પછી વરસ વળોટાતા ગયા. જગત ઉપર ભગવાન ઈશુના અઢારસો નવ્વાણું વરસનો સૂરજ તપવા લાગ્યો. વાંકાનેરનો ટિલાત અમરસિંહજી જુવાની આંબી ગયો. વાંકાનેરની ગાદી સોંપવાના અંગ્રેજ હાકેમોના હુકમ છૂટ્યા. ધુનડા ગામની સીમમાં કાયાના કટકા કરતા બાપ-દીકરાના કાન ચમક્યા. પાંચ વરસના વાત પર ચડી ગયેલા પોપડા ફાટ્યા. રાજનું આજ તેડું આવશે – કાલ તેડું આવશે, એવી આશાએ ઘોડાના ડાબા પડે ને ઝબકીને જાગી જવા લાગ્યા. વાંકાનેરમાં ધજા પતાકા ફરકવા લાગ્યા. પડછમ અને શરણાયુંના સૂર છૂટવા લાગ્યા. મંડપ તોરણોથી વાંકાનેર જાણે વરણાગિયું રૂપ ધારણ કર્યું. બરાબર ગાદીએ આરૂઢ થવાને આડી એક રાત બાકી હતી, ત્યાં એકસો એક પાદર ધણીનું ફરમાન છૂટ્યું, ‘રાતીદેવરીના જલાલ અને અમીને તેડૂં મોકલો.’

મહારાણા રાજસાહેબ સર અમરસિંહજીએ શ્રી જલાલભાઈ માથકીયાને રાતીદેવરીના ઘર, ખોરડાં અને જમીન પાછા આપી રાજરીતનો- રજપૂતાઈનો રંગ દેખાડયો.
આ બહાદુર રાજવીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ફ્રેન્ચના મોરચે ભાગ લીધો હતો.
નોંધ: આજ રાતીદેવરીમાં જલાલ દાદાની પેઢીના ચાર ટોડાનાં અંદાજે એકસો દશ ઘરનો પરિવાર વસે છે, જેમાં વડસર ઉપરાંત કેશિયા (જામનગર જિલ્લો)માં ભરડિયો ધરાવતા ઉસ્માનભાઈ માથકીયા પરિવારના ઇબ્રાહીમ, સમીર, રમજાન તથા વાંકાનેર પુલદરવાજે જંતુનાશક- બિયારણની દુકાન ધરાવતા નુરમામદ હાજીસાહેબના પરિવારના અશરફ અને સૈફુદીનને વાંકાનેર યાર્ડમાં, મોનાલી ચેમ્બરમાં નઝરૂદીનને અને આયતુલ્લાહને ભૂજ ખાતે દુકાન છે. જયારે રફીક સાજીને પાડધરા અને મહીકા દુકાન છે. ઉપરાંત રાતીદેવરીમાં દુકાનદાર પણ ખરા, એવી માહિતી મળેલ છે- નઝરૂદીન બાદી