બાળકો માટે ખતરનાક
અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ બાળકોના મોત થયા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.
આ કોઇ નવો રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ કરાયો છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે.
સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મગજના તાવ (સી.એચ.પી.વી.)નો રોગચાળો તાવના લક્ષણો સાથે વર્ષ 1965માં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યાર બાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો. આ વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે છે. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર-મધ્યગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે.