શ્રદ્ધા અને એકતાનો પવિત્ર ઉત્સવ
વાંકાનેર શહેર તથા તાલુકા પંથકના વાલીદે મશહૂર ઓલિયા હજરત મોહમ્મદ શાહ બાવાના વાર્ષિક ઉર્સ મુબારકનો પવિત્ર પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાશે. પવિત્ર રમજાન ઈદના બીજા દિવસે (વાસી ઈદના) યોજાતા આ ઉર્સ મુબારકમાં મોટી સંખ્યામાં અકીદતમંદો હાજરી આપી દુઆ અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

ઉર્સના અવસર પર તા. 21 અને 22ના રોજ સવારે 10 વાગ્યે રસાલા રોડ ખાતે આવેલી હજરત જોરાવર પીર બાવાની દરગાહ શરીફથી ચાદર ચડાવી જુલુસ શરીફનું પ્રસ્થાન કરવામાં આવશે. આ જુલુસ દર વર્ષની જેમ પરંપરાગત રૂટ મુજબ ગ્રીન ચોક, ચાવડી ચોક, હરિદાસ રોડ, માર્કેટ ચોક અને પ્રતાપ ચોકથી પસાર થઈ રામચોક સ્થિત હજરત મોહમ્મદ શાહ બાવા દરગાહ શરીફ ખાતે પહોંચશે. ત્યાં ચાદર ચડાવી સલાતો-સલામ અદા કરવામાં આવશે અને ત્યારબાદ હાજર તમામ અકીદતમંદોને ન્યાંજ (પ્રસાદ) બાળવામાં આવશે.
આ પવિત્ર પ્રસંગે રાત્રે 9:30 કલાકે મહાનુભાવો તથા અકીદતમંદોની હાજરીમાં પરંપરાગત સંદલની રસમ અદા કરવામાં આવશે. કાર્યક્રમમાં પીર સૈયદ સાહિર બાવા, શકીલ બાવા, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા તેમજ દરગાહના ટ્રસ્ટીઓ અને શાહ બાવાના ચાહકો મોટી સંખ્યામાં હાજર રહેશે.

હજરત મોહમ્મદ શાહ બાવાનો ઉર્સ માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ વાંકાનેરની સાંપ્રદાયિક એકતા, ભાઈચારા અને આધ્યાત્મિક પરંપરાનો પ્રતિક છે. દર વર્ષે આ ઉર્સમાં વિવિધ સમાજના લોકો હાજરી આપી શાંતિ, પ્રેમ અને સૌહાર્દનો સંદેશ ફેલાવે છે.
શાહ બાવા દરગાહ ટ્રસ્ટીઓએ અખબારી યાદી દ્વારા તમામ અકીદતમંદોને આ પવિત્ર પ્રસંગે હાજરી આપી ઉર્સ મુબારકને સફળ બનાવવા આમંત્રણ આપ્યું છે.
