જહાં રૂકા સસા વહાં પ્રતાપગઢ બસા
ભરવાડ કુટુંબના સામાજીક પ્રસંગો આખું ગામ સાથે મળીને ઉજવે છે
પ્રતાપગઢ એટલે સમગ્ર ગુજરાત/રાજસ્થાનમાં સૌથી નાના ગામમાં એટીએમ શરુ કરનારું અને તાલુકા આખામાં ટપક સિંચાઇની પહેલ કરનાર તથા બીએમસીમાં મૂકાયેલ પ્રથમ ગામ
ગામથી આથમણી બાજુ કાંધાની ધારમાં એક ભોંયરું છે, જેમાં અગ્નિ પેટાવવાથી આજે પણ 500 મિટર દૂર ધૂમાડા નિકળે છે
ગામમાં શરૂઆતમાં વઘાસીયાથી દેકાવાડિયા, જુની કલાવડીથી કડીવાર, ખીજડીયાથી શેરસીયા, ટંકારાથી ચૌધરી, તીથવાથી માથકીયા, પીપળીયારાજથી કડીવાર, બાવરા અને શેરસીયા કુટુંબ આવીને વસેલું
આજથી 96 વર્ષ પહેલા એટલે કે સંવત ૨૦૭૨ માં (ઈ.સ. ૧૯૨૪ માં) એટલે કે આઝાદી પહેલા માત્ર તેવીશ વરસ પહેલા પ્રતાપગઢ ગામની સ્થાપના થયેલી. રાજ અમરસિંહે નવી કલાવડી, જુની કલાવડી, પાંચદ્રારકા, પીપળીયારાજ અને સિંધાવદરની સીમ વચ્ચેના આ વિસ્તારમાં એક ગામ વસાવવાનો અને તેનું નામ રાજકુંવર પ્રતાપસિંહના નામ ઉપરથી પ્રતાપગઢ રાખવાનો નિર્ણય કર્યો. આજે જ્યાં કબ્રસ્તાન છે, તે (પટમાં હાલના પ્રતાપગઢ છે તેનાથી દૂર) પ્રતાપગઢ ગામ વસાવવાનો નિર્ણય થયેલો, જ્યાં એક બોરડીનું ઝાડ હતું.
રાજ અમરિસંહ મોટર લઇને આ જગા પર જાત નિરીક્ષણ માટે આવતા હતા કે તે બોરડીના ઝાડમાંથી એક સસલું દોડતું બહાર નિકળ્યું. રાજ અમરિસંહે આ જોઇને નિર્ણય કર્યો કે આ સસલું જયાં બેસે ત્યાં ગામ વસાવવું. સસલા પાછળ મોટર હંકારી. સસલું આજના પ્રતાપગઢમાં જ્યાં મસ્જીદનો ગેઇટ છે, ત્યાં આવીને રોકાયું અને ત્યાં પણ બોરડીનું ઝાડ હતું. આ ઝાડ હજી છ-સાત વરસ પહેલા સુધી હતું.રાજ અમરસિંહે ત્યાં પ્રતાપગઢ વસાવવાનું નકકી કર્યું. આથી કહેવાય છે કે જહાં રૂકા સસા, વહાં પ્રતાપગઢ બસા


તમને જાણીને નવાઇ લાગશે કે નાના એવા આ ગામે વાંકાનેર તાલુકામાં આધુનિક ટપક સિંચાઇ ક્ષેત્રમાં સૌથી પહેલા પહેલ કરી સમગ્ર તાલુકાને નવો રાહ બતાવેલો છે. ૨૦૦૭માં પ્રતાપગઢના કડીવારના ૪ કુટુંબો એટલે કે નુરમામદ આહમદ, ઉસ્માન આહમદ, હુસેન વલી અને રસુલ સાજી તથા ચંદ્રપુરના બાદી ફતે ગાજીએ તાલુકામાં સૌ પ્રથમ ખેતીમાં આધુનિક ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવેલી. અત્યારે ૧૩૦૦ ફૂટ ઉંડા બોર કરે ત્યારે પાણી આવે છે. અગાઉ ૧૫ વર્ષ પહેલા આ ગામમાં પીવાના પાણીની એટલી બધી તકલીફ હતી કે ૧રપ ના ઘરમાં ૧૫૦ પાણી ભરવાના બેરલ રહેતા. ગામ લોકોએ લોકફાળો કરી ૧ હજાર ફૂટનો બોર કરી અવેડો ભરવાની વ્યવસ્થા કરી હતી. અત્યારે અમરસર પાસેથી પાઇપ લાઇન દ્વારા તથા નર્મદાનું પાણી આવે છે. ગામલોકોએ ન ધારેલી પીવાના પાણીની વ્યવસ્થા હવે થઇ ગઇ છે. ગામમાં ભરવાડના બે ઘર જ છે. બાકી બધા મોમીન સમાજના ઘર છે. પ્રશંષનીય વાત એ છે કે ભરવાડના સામાજીક વ્યવહારિક પ્રસંગો આમ છતાં આખું ગામ મળીને ઉજવે છે.


ગામથી ઉત્તરે લગભગ એવા પાંચસો વર્ષ પહેલા ‘હરણખણી’ નામથી ઓળખાતા વિસ્તારમાં મોમીન સમાજના કેટલાક કુટુંબોએ પડાવ નાખેલો. આ વિસ્તારમાં વાવ હતી. ગામથી આથમણી બાજુ કાંધાની ધારમાં એક ભોંયરું છે, જેમાં અગ્નિ પેટાવવાથી આજે પણ 500 મિટર દૂર ધૂમાડા નિકળે છે. ગામથી સિંધાવદર તરફ શેખલશા પીરની અને પાંચદ્વારકા તરફના રસ્તા પર અસ્તા પીરની દરગાહ છે, શેખલશા પીરની હાલ જ્યાં દરગાહ છે, ત્યાં અગાઉ ગોઢ નામે ગામ હતું. અહીં માનવ વસાહત હોવાના અવશેષો આજે પણ નિકળે છે .
આ ગામમાં પંચાયતની ચૂંટણી અત્યાર સુધીમાં માત્ર એક વાર જ થઇ છે, બાકી બિનહરીફ થઇ છે. જયારે દૂધ કે સહકારી મંડળીની ચૂંટણી ક્યારેય થઇ જ નથી. મોટે ભાગે વાદ વિવાદ આગેવાનો ઘરમેળે સમાધાનથી પતાવે છે, પોલીસ કેસ થવા દેતા નથી. પ્રતાપગઢમાં સારું કામ હંમેશા સૌ સાથે મળીને સર્વ સંમતિથી સંપીને કરે છે.
આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ