દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે, જેના પર હાલ ઘણા લોકો નજર રાખી રહ્યા છે અને તે છે આ વખતે કેટલા મુસ્લિમ સાંસદો લોકસભામાં પહોંચ્યા છે.
મુસ્લિમ નેતાઓની વાત કરીએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં કુલ 78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા, જે અગાઉની ચૂંટણીઓ કરતાં આંકડો ઘણો ઓછો હતો. ગત વખતે એટલે કે 2019ની લોકસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોએ 115 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
આ 78 મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર 15 મુસ્લિમ ઉમેદવારો આ ચૂંટણીમાં જીત્યા હતા. આમાં એક મોટું નામ છે TMC ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ, જેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીના ગઢ ગણાતા બહરમપુરમાં જીત મેળવી હતી. બીજી તરફ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન ( AIMIM ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો ગઢ બચાવી લીધો હતો અને ભાજપના માધવી લતા સામે 3.38 લાખ મતોની સરસાઈથી જીત મેળવી હતી.
ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની આ લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી. જ્યારે જમ્મુ અને કાશ્મીરની બારામુલા સીટ પર રાશિદ એન્જિનિયર તરીકે જાણીતા અબ્દુલ રશીદ શેખે 4.7 લાખ મતો મેળવીને ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. હાલમાં દિલ્હી જેલમાં રહેલા રાશિદે આ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી. જ્યારે લદ્દાખમાં અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફા 27,862 મતોની સરસાઈથી જીત્યો હતો. આ સિવાય કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ સહારનપુર બેઠક પરથી 64,542 મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે કૈરાનાથી 29 વર્ષીય સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઈકરા હસને ભાજપના પ્રદીપ કુમારને 69,116 મતોથી હરાવ્યા હતા. બીજી તરફ, ગાઝીપુરથી વર્તમાન સાંસદ અફઝલ અંસારીએ 5.3 લાખ મતો મેળવીને બેઠક જીતી હતી.