આખો કિસ્સો વાંચવા જેવો છે
રોકડ, કાર સહિત રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત
‘તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ. 70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે’
ધન પ્રાપ્તિની લાલચ આપી તાંત્રીક વિધિના નામે ખેડૂત, શ્રમિક સહિત ત્રણ લોકો સાથે રૂા.29.50 લાખની છેતરપીંડી કરનાર મદારી ગેંગનો સભ્ય
ખેડૂતને બાવા સાધુએ રૂદ્રાક્ષ આપ્યાં બાદ તમે ભોળા માણસ છો, માતાજી પ્રસન્ન થયેલ છે, તમને લક્ષ્મી મળશે કહીં ગુરૂજી સહિતના શખ્સોએ વાંકાનેરના રફાળામાં વિધિ માટે બોલાવી રૂપિયા પડાવ્યાં’તા
રાજકોટ: જામકંડોરણાના ખજૂરડા ગામના ખેડૂત અને વેપારીને દુકાને આવેલા બાવા સાધુએ રુદ્રાક્ષ આપ્યાં બાદ ફોન કરી ‘તમે ભોળા માણસ છો, માતાજી પ્રસન્ન થયેલ છે તમને લક્ષ્મી મળશે’ કહી તાંત્રિક વિધિના નામે રૂ.13 લાખની છેતરપીંડી કરનાર મદારી ગેંગના ચાર શખ્સોને જામકંડોરણા પોલીસે ઝડપી પાડી રોકડ, કાર અને મોબાઈલ મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં બાવા સાધુ મો.6356814417, ગુરૂજી મો.7567474373, ગુરૂ-શિષ્ય, જીતુભા, જીતુભા સાથે ધુપના પૈસા લેવા આવતો અજાણ્યો માણસ અને તપાસમાં ખુલે તે તમામના નામ જણાવ્યું હતું કે,
તેઓ ખેતીકામ અને ઇલેકટ્રીક રીપેરીંગની દુકાન ચલાવે છે. ચારેક મહીના પહેલાં એક વાદી તેમની ઇલેકટ્રીકની દુકાને બાવા સાધુના વેશમાં દક્ષીણા માંગવા આવેલ હતો. તેને દસ રૂપીયા દક્ષીણા આપેલ હતી. જેથી તે બાવા સાધુએ એક રૂદ્રાક્ષ આપેલ અને તેઓનો મોબાઇલ લીધેલ હતો. બાદમાં ગઇ તા.18/04 ના એક અજાણ્યા મોબાઇલ નં.6356 814417 ઉપરથી ફોન આવેલ અને જણાવેલ કે, ‘હું તમારી દુકાને દક્ષીણા માંગવા આવેલ હતો તે વખતે મે તમને એક રૂદ્રાક્ષ આપેલ હતો તે બાવા સાધુ બોલુ છું, તમે ભોળા માણસ છો, તમને માતાજી પ્રસન્ન થયેલ છે તમને લક્ષ્મી મળશે તમારી પાસે જુના રૂપીયા હોય, તો તેનાથી લક્ષ્મી આવશે તેમજ તમારે જમીન છે તે જમીનમાં પણ પુષ્કળ માયા (સોનુ) છે. તમો બહુ જ રૂપીયાવાળા બનશો’ તેમ
વાતચીત કરેલ હતી. તેમજ અન્ય એક અજાણ્યો મોબાઇલ નંબરમાંથી આ બાવા સાધુના ગુરૂજી બોલતા હતા. તેમણે પણ તે જ વાત કરેલ, તેમજ બંને મોબાઇલ નંબરમાંથી વારંવાર વાતચીત કરી આ બાવાસાધુ અને તેના ગુરુજી બંનેએ વિશ્વાસમાં લઇ લીધેલ હતાં. તે બાદ બંને નંબરવાળાઓએ આ ધન પ્રાપ્તી માટે વિધી કરવાનું કહેલ અને વિધીનો સામાન જેમાં ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનું, જુના રૂપીયાના સીક્કા, ચુંદડી, કંકુ સહિતનો વિધીનો સામાન લઇ વાંકાનેર પાસે
રફાળા બોલાવેલ હતો. રફાળાની બાજુમાં અવાવરૂ જગ્યાએ ખાડામાં લઇ ગયેલ અને ત્યાં બાવા સાધુ તેના ગુરૂજી, જીતુભા અને એક અજાણ્યા માણસ જે ગુરૂજીના શિષ્ય તરીકે ઓળખ આપેલ એમ કુલ ચાર માણસો હતા. તેમાં ગુરૂજીએ વિધી કરેલ અને એક પેટીમાં રૂપીયા 500-500 ની નોટો બતાવેલ. તે પછી આ પેટી બંધ કરી દીધેલ. દરમ્યાન આ અજાણ્યા શખ્સને મોઢામાંથી લોહી નીકળવા લાગેલ અને તે બેભાન થઈ ગયેલ. જેથી આ ગુરૂજી બોલવા લાગેલ કે, ‘માતાજી ક્રોધીત થઇ ગયેલ છે હવે અમારા દીકરાને સજીવન કરવા માટે ધુપની જરૂર પડશે. આ ધુપ તમારે 25 તોલા લાવવુ પડશે. આ ધુપનો એક તોલાનો ભાવ રૂપીયા રૂ.21 હજાર થાય છે. જે ધુપ તમારે જામનગર-દ્રારકા રોડ ઉપર જીતુભા દેવા આવશે’ તેમ ગુરૂજીએ જણાવેલ હતું. તે બાદ તેઓ ઘરે આવતાં રહેલ અને અજાણ્યા માણસને કંઇક થઈ જશે તેવા ડરથી તેઓએ તેમની પાસે રહેલા રૂ.25 હજાર અને બાકીના મિત્ર સર્કલમાંથી હાથ ઉછીના મંડળી ભરવાના બહાને રૂ. 5 લાખ લીધેલ હતા.
જે બાદ ગુરૂજીનો ફોન આવેલ અને કહેલ કે, ‘પૈસાનો મેળ થઇ ગયેલ હોય, તો મે ધુપ વાળાને કહી દીધેલ છે તમે ત્યાંથી લઇ આવો’. જેથી તેઓ તા.24/04 ના જામનગર થઈ દ્રારકા રોડ ઉપર ગયેલ અને ત્યાં જીતુભા તથા બીજા એક અજાણ્યો શખ્સ હતો. એક શીશીમાં ધુપ ચુંદડી વીટાળેલ હાલતમાં આપેલ અને જીતુભાને રૂપિયા આપી દીધેલ હતા. તે ધુપ લઇ તેઓ ઘરે આવતાં રહેલ હતાં. જે બાદ તેઓને ભાણેજના લગ્ન હોય, જેથી લગ્ન પ્રશંગમાં ગયેલ હતાં. જે બાદ ગુરૂજીનો ફોન આવેલ અને કહેલ કે, ‘તમે ધુપમાંથી બે ટીપા તમારી જમીનમાં પાડો અને પાંચ ટીપા આધ્યાશકિતમાંના નામના પાડો’ આમ કહેલ.
જેથી તેઓએ ચુંદડીમાં વીટાળેલ ધુપની શીશી કાઢેલ તો શીશી તુટી ગયેલ હતી અને તેમાં ધુપ હતું નહી, જેથી ગુરૂજીને ફોન કરેલ તો તેમણે કહેલ કે, ‘માતાજી બહુ જ ક્રોધીત થઇ ગયેલ છે હવે તમારે બીજુ 25 તોલા ધુપ લાવવુ પડશે. આ ધુપનો એક તોલાનો ભાવ રૂ.31 હજાર હશે.’ જેથી ગુરૂજીને કહેલ કે, ‘હાલ મારી પાસે પૈસા નથી તેનો હું મેળ કરી તમને ફોન કરીશ’. જે બાદ મિત્ર સર્કલમાંથી છ લાખ રૂપીયા તથા તેમજ મે બે લાખની લોન ઉપાડેલ હતી. જે બાદ ગુરૂજીને ફોન કરી ‘પૈસાની વ્યવસ્થા થઇ ગયેલ છે ધુપ લેવા ક્યા લેવા જવાનું છે’ તેમ કહેતા તેને કહેલ કે, ‘મે ધુપની શીશી લઇ લીધેલ છે તમારે ધુપવાળાને પૈસા દેવા જવાનું છે’ તેમ વાત કરતાં તા.30/04/2024 ના પૈસા લઇ વાંકાનેર રફાળા રોડ ઉપર ગયેલ ત્યાં રાત્રીના અંધારામાં જીતુભા તથા તેની સાથે એક ધુપવાળા ભાઇ આવેલ તેમને 25 તોલા ધુપના એક તોલાના ભાવ રૂ. 31 હજાર લેખે રૂ. 7.75 લાખનો થેલો આપી દીધેલ અને જીતુભાએ એક પેટી આપેલ.
તેમણે કહેલ કે, ‘તમારૂ કામ થઇ ગયેલ છે. આ પેટીમાં રૂપીયા ભરેલ છે તે ખોલતા નહી તમારા ઘરે રાખી દેજો’ જેથી તેઓ પેટી લઇ ઘરે આવતાં રહેલ અને ઘરમાં પેટી રાખી દીધેલ હતી. બાદમાં ફરીથી ગુરૂજીનો ફોન આવેલ અને તેમણે જણાવેલ કે, ‘માતાજી ક્રોધીત થઇ ગયેલ છે તે તમારા કામ માટે માનતા નથી, હું બહુ જ માતાજીને મનાવું છું. તમારે પાછો ધુપ લેવો પડશે અને આ ધુપ તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ. 70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે’ તેમ વાત કરેલ હતી. જેથી તેમને કહેલ કે, ‘મારી પાસે પૈસાની વ્યવસ્થા થાય તેમ નથી’ કહેતાં તેને કહેલ કે, ‘હુ પણ રૂપીયાની વ્યવસ્થા કરૂ છું તમો પણ રૂપીયાની વ્યવસ્થા કરો.’
જે બાદ તેમને આપેલ પેટી ખોલી તો તેમાં પસ્તી તથા બાળકોને રમવાની પૈસાની નોટો હતી. જેથી બાવાસાધુ તેના ગુરુજી, જીતુભા તથા બીજો એક અજાણ્યો માણસ તેમજ તેમની પાસે આવેલ જીતુભા અને અજાણ્યો માણસે ભેગા મળી વિશ્વાસમાં લઈ તાંત્રિક વિધી કરાવી કુલ રૂ.13 લાખનીની છેતરપીંડી કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જામકંડોરણા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વિ.એમ.ડોડીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી મદારી ગેંગના જાલમનાથ રાજુનાથ પઢીયાર (મદારી), જોગનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને નવા મકનસર, વાદીપરા, મોરબી), પ્રકાશનાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) અને ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને દરેડ, જામનગર, મૂળ રહે.નવા મકનસર, વાદીપરા, મોરબી) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂ.4.60 લાખ, સાત મોબાઈલ અને કાર મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પૂછતાછ હાથ ધરી હતી.
જયારે ચાર શખ્સો ફરાર થઇ જતાં તેની શોધખોળ હાથ ધરી હતી. પૂછતાછમાં આઠેય આરોપીઓએ મળી અગાઉ પણ સાત મહિના પહેલાં મીઠાપુર તાલુકાના ભીમરાણા ગામે એક વ્યક્તિને ધનપ્રાપ્તિની લાલચ આપી રૂ.11 લાખની તેમજ ત્રણ મહિના પહેલાં જામજોધપુરના મોડપર ગામે એક આદિવાસી શ્રમિક સાથે રૂ.5.50 લાખની છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી.
ફરાર આરોપી:
જાલમનાથ શંભુનાથ પઢીયાર , સાગરનાથ બાબુનાથ ભાટી (રહે. બંને ખીરસરા (ગઢ),લોધીકા) આસમનાથ બકાનાથ પરમાર કરહે (રહે. ભોજપરા, વાંકાનેર) અને પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયા (રહે.નવા મકનસર, વાદીપરા મોરબી) ની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મદારી ગેંગને પકડનાર ટીમ
સૌરાષ્ટ્રભરના લોકોને તંત્રીકવિધિના નામે છેતરતી મદારી ગેંગને પકડવા જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઈ વી.એમ.ડોડીયા, એએસઆઈ મનજીભાઇ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ સુરેશ ગોહીલ, ધીરેન્દ્રભાઇ વાઘેલા, સમભાઇ રાડા, રવીરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રામજીભાઇ ગરેજા, રાજુભાઇ ભોળદળીયા અને રવીભાઈ વાળાએ કામગીરી કરેલ હતી.
ધૂપ માટેના રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે કહીં આરોપીઓને બોલાવ્યાં
મદારી ગેંગને પકડવા જામકંડોરણા પોલીસે ખજૂરડા ગામના ભોગ બનનાર ખેડૂત પાસે આરોપીઓને ફોન કરાવી ‘ધુપના રૂપિયાની વ્યવસ્થા થઈ ગયેલ છે’ કહી બોલાવ્યા હતાં. જે રૂપીયા લેવાં આવેલા મદારી ગેંગના ચાર શખ્સોને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચમત્કારથી દુ:ખ દર્દ દૂર કરતાં લોકોથી ચેતો: પ્રજાજોગ પોલીસનો સંદેશ
કોઇપણ પ્રકારના સાધુવેશધારીઓ દ્રારા દુ:ખ દુર કરી, ચમત્કાર બતાવી રૂપીયા બનાવી આપવા જેવી લોભામણી વાતોમાં આવવું નહી, તેમજ જાહેર જનતાને આવા લેભાગુ તત્વોથી ચેતી રહેવા તથા અંધશ્રદ્ધા ભરી લોભામણી વાતોમાં નહી આપવા તેમજ રોકડ રકમ કે અન્ય કોઇ કિંમતી મિલકત ધુતારાઓને નહી આપવા અપીલ કરવામાં આવે છે.
વિધિ દરમિયાન એક આરોપી બેભાન થઈ જતો: બાદમાં સજીવન કરવા છેતરપીંડી આચરતાં
આરોપીઓ પૈકી એક આરોપી સાધુનો વેશ ધારણ કરી ભીક્ષા માંગવા આવી લોકોને રૂદ્રાક્ષનો પારો આપી, ધન પ્રાપ્તિની લાલચ આપી, બાદમાં આરોપીઓ પૈકી એક શખ્સ ગૂરૂજી બનીને ધન પ્રાપ્તિ માટે વિધી કરવાનુ જણાવી, વિધી દરમ્યાન આરોપી પૈકી એક શખ્સ બેભાન થવાનુ નાટક કરી મોંઢામાં કંકુ નાખી લોહી નીકળવાનું નાટક કરતાં અને લોકોને ડરાવી બેભાન થયેલ શખ્સને સજીવન કરવા માટે તથા કરોડો રૂપીયા બનાવી આપવાની લાલચ આપી, ધુપના નામે અલગ અલગ સ્થળે બોલાવી પૈસા લઇ ધુપની શીશી આપી તેમજ પતરાની પેટીમા કરોડો રૂપીયા ભરાઇ જશે તેમ વિશ્વાસ અપાવી ધુપના નામે વધુમાં વધુ રૂપીયાની પડાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતાં હતાં.