આજથી દોઢસો વર્ષ પહેલાની આ વાત છે
ગુજરાતમાં આજે કોઈ શહેર ઓઇલ મિલ વગરનું નહીં હોય
વાંકાનેર: ધોરાજી-માટી મારડ તાબેના પીપળીયા ગામમાં પદ્માબાપા નામે એક ખેડૂત રહે. એમનું કુટુંબ ખાધે-પીધે સુખી, શાહુકાર ગણાતા. એક વાર તેઓ એ જમાનામાં મદ્રાસ ગયા. એણે ત્યાં મગફળી જોઈ, ફોલી દાણા ખાધા. ખેડૂતના દીકરાએ આ નવો પાક જોઈ એના વિષે માહિતી મેળવી. પદ્માબાપાને મનમાં વિચાર આવ્યો કે આ પાક મારા ગામ પીપળીયામાં વવાય કે કેમ? ત્યારે પહેરવેશમાં આજના જીન્સ કે શર્ટ નહોતા, લોકો કેડિયા- ચોરણી પહેરતા. કાલરીયા કુટુંબના પદ્માબાપા કેડિયાના બંને ખિસ્સામાં જેટલી સમાય તેટલી મગફળી ભરી મદ્રાસથી કાઠિયાવાડમાં પોતાના ગામ આવ્યા…બાપાએ વાડીમાં દળવાળી જમીન પસન્દ કરી મદ્રાસથી લાવેલી મગફળીનું પ્રથમવાર વાવેતર કર્યુ. મોટા-મોટા છોડના મોલ જોવા ટેવાયેલો ખેડૂત પ્રથમ વાર જમીન પર નાના છોડનો આ નવો ઉગેલો પાક જોવા લાગ્યો. વાવેલ મગફળીથી બે સુંડલા જેટલી મગફળીનું ઉત્પાદન મેળવ્યું. મગફળીની વાવણી, બે ચાસ વચ્ચે રાખવાનું થતું અંતર, પાણ, રોગ, નકરી કરવાની રીત વગેરે મદ્રાસથી મેળવેલ માહિતી કામ આવી…
પહેલી વખતનો ઉતારો મેળવ્યા પછી પદ્માબાપાએ મગફળીનું વેંચાણ ન કર્યું, પણ એ ફોલી દાણા કાઢીને બીજી વાર બે ચાસમાં વાવેતર કરી દીધું. સારો ઉતારો આવ્યો. આ ઉત્પાદનને બાપાએ બધા સગા વ્હાલામાં વહેંચી દીધું અને વાવવા સલાહ આપી, તે બધાએ પણ મગફળી વાવી. પછી તો સગાના સગા અને તેના પણ સગા…એમ વાવવાનો સિલસિલો આગળ વધ્યો…
આવી રીતે ધીમે ધીમે સમગ્ર કાઠિયાવાડમાં મગફળીનું વાવેતર શરૂ થવા માંડયું. રાજાશાહીના તે સમયમાં ધોરાજી ખાતે મળેલા એક સંમેલનમાં પદ્માબાપુનાં મગફળીનું ઉતારા મેળવ્યા બદલ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને “મગફળીના પિતા” નું બિરુદ આપવામાં આવ્યું હતું. આથી મગફળીને સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેતરે ખેતરે પહોંચાડવાનો જશ પદ્માબાપાને જાય છે…
વર્તમાનમાં પદ્માબાપાનું તૈલીચિત્ર ધોરાજી ખાતે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મુકવામાં આવ્યું છે. તેલ માટે તલ પીલી લોકો તલનું તેલ ખાતા, મગફળી બજારમાં આવતા શરૂઆતમાં મગફળીમાંથી તેલ કાઢવાનો વિકલ્પ લાકડામાં બનેલી અને એક બળદથી ચાલતી ઘાણી માત્ર હતી, ગોળ ગોળ ફરતા બળદને ચક્કર ન આવે તે માટે એક આંખે આડશ બંધાતી. ગામમાં ઘાણી ન હોય તો સામે ગામ ઘાણી કઢાવવા જવું પડતું.પછીથી ઓઇલ મિલ નખાવવા માંડ્યા. ગુજરાતમાં આજે કોઈ શહેર ઓઇલ મિલ વગરનું નહીં હોય, હવે ઘાણી ભૂતકાળ છે.
બાપાનું ખોબો મગફળીનું વાવેતર આજે ગુજરાતના 15 લાખ હેકટર કરતા પણ વધારે વિસ્તારમાં વિસ્તર્યું છે અને આજે પણ મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય ચોમાસું પાક છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક આંકડા મુજબ આ વર્ષે ગુજરાતમાં 15 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સિવાય સૌરાષ્ટ્રના સાથે સમગ્ર ગુજરાતમાં મગફળીના તેલ-ખોળનો પણ વ્યવસાય ચાલે છે. જો કે ભૂંડ અને અન્ય જનાવરોને ત્રાસથી છેલ્લા વર્ષોમાં ઘટતું જાય છે…