કડીયા કામની મજુરી કરતો
રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયો હતો, સાથે ન આવતા પગલું ભરી લીધું
વાંકાનેર રહેતા એક યુવાને સાત દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજયું હતું.
વાંકાનેર રહેતા ચેતનભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.34) નામના યુવાને સાત દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજયું હતું.
ચેતન તા.10/9/25ના રોજ મુળી તાલુકાના દાધોરીયા ગામના પાટીયા પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ ફોન કરી પરીવારજનોને જાણ કરી હતી. પરીવારજનોએ ત્યાં પહોંચી સૌ પ્રથમ ચેતનને થાનગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ. અત્રે સારવાર દરમિયાન તા.17ની મોડી રાત્રે 3-30 વાગ્યે તેનું મોત નિપજયું હતું.
કુટુંબીજનોએ જણાવ્યું કે ચેતન પાંચ ભાઈ, એક બહેનમાં બીજા નંબરના હતા. તેને સંતાનમાં 1 દીકરો છે પોતે કડીયા કામની મજુરી કરતો. તેની પત્ની લક્ષ્મી 15 મહિનાથી રીસામણે હતી જેથી બનાવના દિવસે ચેતન પત્નીને તેડવા મૂળીના રાયસીંગ ગામે ગયો હતો, જોકે પત્ની પરત ન આવતા તે એકલો પાછો ફર્યો હતો અને રસ્તામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાન મુળ થાનગઢ છે પણ હાલ વાંકાનેર રહે છે, પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો.
