હપ્તો: બીજો
જયપુરના મહારાજાએ જીવે ત્યાં સુધી મહિને બસ્સો રૂપિયાનું પેનશન બાંધી આપેલું
કંપની એક પૈસો પણ લીધા વગર સ્ટાફને આપી દીધી
વાંકાનેર દરબારગઢ રોડ પર દેરાસર સામે આવેલા પોતાના મકાનમાં નિવૃત્ત જીવન વિતાવ્યું.
પ્રતિષ્ઠિત ગ્રહસ્થોના આમંત્રણને માન આપી લવજીભાઈ અમૃતસર ગયા. અહીં કેટલાક પૈસાદાર તો પોતાને માટે અલગ સ્પેશિયલ ખેલ કરાવી એક હજાર રૂપિયા આપી દેતા. પંજાબ તરફ પણ સારું માન મળ્યું. પછી તેને ખબર પડી કે પોતાના માદરે -વતન કાઠિયાવાડમાં દુષ્કાળ પડયો છે, ઇન્સાન ગમે તેટલો આગળ વધે, પણ વતન સાથેની બંધાયેલી માયાની ગાંઠ કદી છૂટતી નથી. પોતાના વતન માટે લવજીભાઈએ બિનીફિટ શો કરીને દુઃખી જનતા માટે પૈસા મોકલવા માંડયા.
કંપની બનારસ, પ્રયાગ, દિલ્હી, આગ્રા, લખનૌ, કાનપુર વગેરે મોટા શહેરોમાં ગઈ. લવજીભાઈને માન, ઇનામ, ચાંદ, સર્ટિફિકેટ, સુંદર પોષાક, ઇલ્કાબો વગેરે મળતું રહ્યું. કાશ્મીરના રાજાએ 15 હજારનું અને જયપુરના મહારાજાએ 10 હજારનું ઇનામ તથા “ગંગા અવતરણ” નામે ધાર્મિક ખેલ ભજવવા બદલ જીવે ત્યાં સુધી મહિને બસ્સો રૂપિયાનું પેનશન બાંધી આપેલું, જે જીવ્યા સુધી મળતું હતું. લવજીભાઈનું સૂરદાસ તરીકેનું કામ જોવા તિલક મહારાજ પણ ખુદ પધાર્યા હતા. બનારસમાં વિદ્યાનંદજી મહારાજ પણ તેમનું પાત્ર જોવા આવ્યા હતા.
મુંબઈ- પૂના થઇ કંપની ઇન્દોર આવી. લવજીભાઈની તબિયત બગડતા કંપની બીજાને સોંપી અમદાવાદ આવ્યા. દવા કરાવીને વાંકાનેર આવ્યા. મિત્રોની સલાહ પરથી કંપની બંધ કરવા નિર્ણય લેવાયો. ઈંદોર જઈ પોતાના જુના કાર્યકર્તા અને એક્ટરોને ભાગીદાર બનાવી નજીવી કિંમતે કંપની વેચી. એ રકમ પણ પોતે બીમાર હોવા છતાં કંપનીના સ્ટાફને આપી દઈ પોતે એક પૈસો પણ લીધા વગર નડિયાદ મિશન હોસ્પિટલમાં ત્રણ માસ દવા કરાવીને વાંકાનેર આવ્યા. તેમની સાથીદારો પ્રત્યેની દયા ઉદારતાને સલામ !
વાંકાનેર આવી દરબારગઢ રોડ પર દેરાસર સામે આવેલા પોતાના મકાનમાં નિવૃત્ત જીવન વિતાવ્યું. તેમનો સ્વર્ગવાસ આજથી 66 વર્ષ પહેલા સં. 2012 ભાદરવા વદ 3 અને તારીખ: 22-9-1956 ના રોજ થયો.