પાંચાળ ભૂમિના આ વાંકાનેરનો સ્થાપના દિવસ ઊજવાવો જોઈએ
આજથી 418 વરસ પહેલા વાંકાનેર રાજની સ્થાપના મહારાણા રાજ સરતાનજીએ ઈસ્વી સન 1605 માં એમની સોળ વર્ષની ઉંમરે વસંત પંચમીની આસપાસ કરી હતી. તેઓ ધ્રાંગધ્રા રાજના યુવરાજ પૃથ્વીરાજજીના પાટવી કુંવર હતા.

1947 સુધી તેમની કુલ ચૌદ પેઢીએ 342 વરસ વાંકાનેર રાજ પર રાજ કરેલું છે, એમાં સાતમી પેઢીએ યુવરાજ રાયસિંહજી અને અગિયારમી પેઢીએ યુવરાજ જશવંતસિંહનો કુંવરપદે સ્વર્ગવાસ થયો હતો. પાંચમી પેઢીએ રાજ પૃથ્વીરાજજી નિર્વંશ રહેતા બીજા નંબરના રાજ કેશરીસિંહ (બીજા)એ ગાદી સંભાળેલ, એ સિવાય પાટવી કુંવરે જ રાજ કરેલું છે. વાંકાનેર રાજના સ્થાપક મહારાણા રાજ સરતાનજી પછી હાલના કેશરીસિંહની સોળમી પેઢી ચાલી રહી છે. ક્યા રાજાના સમયમાં વાંકાનેરના કે અહીં વસતા સમાજોની કઈ ઐતિહાસિક ઘટના કે પ્રસંગ બન્યો હતો તે સાલ યાદ કરવામાં વાંકાનેરવાસીઓને સરળતા રહેતી હોય છે.
સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં સ્થાપના દિવસ ઊજવાતો હોય છે. પાંચાળ ભૂમિના આ વાંકાનેરનો પણ સ્થાપના દિવસ ઊજવાવો જોઈએ. આ માટે સામાજિક સંગઠનો, બિનરાજકીય સંસ્થાઓ, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો, આગેવાનોની એક કમિટી બનાવવી જોઈએ. આકર્ષણ રહે તે માટે ઊજવણીમાં મેળાનું આયોજન, સાંકૃતિક કાર્યક્રમો, લુપ્ત થતી ગામડાઓની રમતોની હરીફાઈ અથવા અલગ અલગ ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવનાર વાંકાનેરવાસીના સન્માનનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ. આ માટે વસંત પંચમીનો દિવસ નક્કી કરી શકાય. આમાં સૌ વાંકાનેરવાસીઓએ સહકાર આપવો જોઈએ .
નીચે વાંકાનેર રાજનો વંશવેલો અને વરસ આપેલા છે.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ
