લગ્ન થયા ન હોવાથી દીવાનપરાના યુવાનનો આપઘાત
ભરવાડપરાના રૂપલબેને એસિડ પી લીધો હતો
ગારીડા ગામના પાટિયા પાસે અજાણ્યા પુરુષનો ઝાડ સાથે ચાદર બાંધી ગળેફાંસો
વાંકાનેર: અહીં પતાળીયા રોડ પર દિવાનપરા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા ઉ.50 નામના યુવાનના લગ્ન થયા ન હોવાથી માનસિક અસ્વસ્થ રહેતો હોય ગઈકાલે પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા રૂપલબેન અવધભાઈ સરૈયા ઉ.25 નામના પરિણીતાએ ગત તા.23 ના રોજ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા ઝાડા – ઉલટી થઈ જતા સારવાર માટે 
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ત્રીજા બનાવમાં વાંકાનેર – ચોટીલા નેશનલ હાઈવે પર ગારીડા ગામના પાટિયા પાસે આવેલ તીરથ હોટલ સામે ખોડિયાર માતાજીની ભેખડ નજીક અંદાજે 40થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષે લીમડાના ઝાડ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

