વાંકાનેર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ
વાંકાનેર: અહીંની નગરપાલિકામાં પૂર્વ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાની બદલી થતાં, તેમની જગ્યાએ અમરેલીથી આવેલા ધવલ વેકરીયાએ ચાર્જ સંભાળ્યો છે. નવનિયુક્ત ચીફ ઓફિસર ધવલ વેકરીયાએ જણાવ્યું હતું કે શહેરમાં પ્રજાજનોની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવશે.

તેમણે શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા પર ભાર મૂક્યો હતો. આ માટે પ્રથમ તબક્કામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીને વધુ વેગવંતી બનાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવશે અને ટેક્સ વસૂલાતની કામગીરી પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે. ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરી પૂર્ણ કરીને પ્રજાજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવશે.

શહેરને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ચીફ ઓફિસર ધવલ વેકરીયાએ પુનરોચ્ચાર કર્યો હતો કે પ્રજાજનોની સુખાકારી, સ્વચ્છતા અને ગ્રીન સિટી બનાવવા માટે પ્રથમ તબક્કામાં જ કામગીરી શરૂ કરવામાં આવશે.
