હવે ઘરબેઠા મળશે નર્સરીનું લોકેશન અને જરૂરી માહિતી
વન વિભાગ દ્વારા શરૂ કરાયેલ નવી ડિજિટલ હેલ્પલાઈન
વન્યજીવોના રેસ્ક્યુ માટે 1926 હેલ્પલાઇન
ગાંધીનગર : જો તમે વૃક્ષારોપણ કરવા માંગો છો પરંતુ નજીકની ગુજરાત વન વિભાગની નર્સરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે, તો હવે તેનો એક સરળ ઉપાય ઉપલબ્ધ છે. વન વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે એક ઈન-હાઉસ ડિજિટલ હેલ્પલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.


કેવી રીતે મેળવશો માહિતી?
નાગરિકોએ માત્ર 8320002000 નંબર પર ડાયલ કરવાનું રહેશે. આ કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને થોડી જ વારમાં તમારા મોબાઈલ પર એક લિંક સાથેનો SMS આવશે. આ લિંક પર ક્લિક કરવાથી તમારા વિસ્તારની વન વિભાગની નર્સરીની સંપર્ક વિગતો, ગૂગલ મેપ્સ (Google Maps) પર તેનું ચોક્કસ લોકેશન અને સંબંધિત વન અધિકારીઓના મોબાઈલ નંબર મળી જશે. આ ઉપરાંત, આ જ નંબર પર “Hi” લખીને WhatsApp કે SMS કરવાથી પણ એક મેનૂ ખુલશે, જેમાં નર્સરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFOs), ઇકો-ટૂરિઝમ સાઇટ્સ અને વનને લગતી અન્ય સેવાઓની માહિતી ઉપલબ્ધ છે.
11.80કરોડ રોપાઓનું લક્ષ્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતને હરિત બનાવવા માટે વન વિભાગ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વન વિભાગની સામાજિક વનીકરણ વિંગ દ્વારા 11.80 કરોડ રોપાઓ નાગરિકોને વિતરણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘એક પેડ મા કે નામ’ અભિયાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
રોપાઓની કિંમત અને પ્રાપ્યતા
વન વિભાગની સમગ્ર રાજ્યમાં કુલ 453 નર્સરીઓ આવેલી છે. નાગરિકો છોડના કદના આધારે 5 થી 15 રૂપિયા સુધીની નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવી શકે છે. 15 x 25 સેન્ટિમીટર અથવા 10 × 20 સેન્ટિમીટરના કદની પોલીબેગમાં ઉછેરવામાં આવેલા રોપાઓ મફત વિતરણ કરવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અથવા ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (DCF) નો સંપર્ક કરી શકાય છે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, આ ઇન-હાઉસ ડિજિટલ હેલ્પલાઈન નાગરિકોની ફરિયાદો અને જરૂરિયાતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) એસ. કે. શ્રીવાસ્તવે આ પ્લેટફોર્મને ડાયનેમિક અને અપડેટ કરી શકાય તેવું ગણાવ્યું હતું.
વન્યજીવોના રેસ્ક્યુ માટે 1926 હેલ્પલાઇન
વન વિભાગને લગતી કોઈપણ ફરિયાદો અથવા વધુ મદદની જરૂર હોય, તો નાગરિકો ટોલ-ફ્રી હેલ્પલાઈન 1926 પર સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઇન પર દરરોજ અંદાજે 30 થી 40 કૉલ આવે છે, જે વન્યજીવોના રેસ્ક્યુ અને અન્ય વહીવટી પ્રશ્નોના નિવારણ માટે કાર્યરત છે…

