દારૂના ગુનાનો રીઢો ગુન્હેગાર
વાંકાનેર: અહીં આરોગ્યનગરમાંથી એક શખ્સને રાજકોટ શહેર પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે વાંકાનેરથી પકડી ડીસીબી પોલીસને સોંપ્યો છે. તે દારૂના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર હતો…


જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતો શખ્સ રાજકોટ ડીસીબી પોલીસમાં છ વર્ષ પહેલા નોંધાયેલા દારૂના ગુનામાં સતત ફરાર હતો. અલગ અલગ ગુનામાં ફરાર શખ્સોને શોધી કાઢવાની હાલ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સના આધારે તપાસ કરતાં બાતમી મળી હતી કે વર્ષ ૨૦૨૦માં ડીસીબી પોલીસમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર આરોપી વાંકાનેર રહે છે. આ બાતમી પરથી ટીમ વાંકાનેર પહોંચી હતી અને લાલદાસ ઉર્ફે લાલો ઉર્ફે લંગડો મહારાજ અમરતદાસ સાધુ (ઉ.વ.૪૨)ને પકડી લીધો હતો.
મુળ બનાસકાંઠાના કાંકરેજના વાલપુરા ગામનો આ બહુનામધારી શખ્સ દારૂના ગુનામાં છ વર્ષથી સતત ફરાર હતો. તે હાલ વાંકાનેર આરોગ્યનગર-૫ની પાછળ રામદેવપીરના મંદિર પાસે શિવરાજસિંહ ઝાલાના મકાનમાં ભાડેથી રહેતો હતો. પેરોલ ફરલોની ટીમે ત્યાંથી તેને પકડી લીધો હતો.
આ શખ્સ અગાઉ પાટણ જીલ્લાના સમી પોલીસ સ્ટેશનમાં, સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં અને બનાસકાંઠાના થરાદમાં પણ દારૂના ગુનામાં સંડોવાઈ ચુક્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. સિરાજભાઇ ચાનીયા, રાજદિપસિંહ ચૌહાણ, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમિનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી…

