કાશીપરના ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં દાખલ
સમાધાનની વાતો કરી મામલતદાર કચેરીએથી કારમાં બેસાડી દીધલીયાની વાડીમાં લઈ ગયા હતા
ભીમગુડાનો યુવાન પડી જતા ઈજા
વાંકાનેર: પ્રેમલગ્નની માથાકૂટમાં પિતરાઈ ભાઈનું કારમાં અપહરણ કરી ઢોર માર માર્યો હતો. સમાધાનની વાતો કરી વાંકાનેર મામલતદાર કચેરીએથી રૂપાભાઈ ધોરીયાને કારમાં બેસાડી દીધલીયાની વાડીમાં લઈ ગયા હતા. જ્યાં સળિયા અને પાઇપ ધોકાથી બેફામ માર માર્યો હતો. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.




આ અંગે પ્રાથમિક મળેલ માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના કાશીપર ગામના રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (ઉંમર વર્ષ 32) ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ વાંકાનેર મામલતદાર કચેરીમાં હતા ત્યારે સામેવાળા વિપુલભાઈ કરશનભાઈ તથા તેમની સાથેના માણસોએ જૂની માથાકૂટ બાબતે સમાધાન કરવા માટે તેઓને દીધલીયા ગામ લઈ જઈ ઝઘડો કરી માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કર્યાં છે.
રૂપાભાઈએ કહ્યું કે, હું બે ભાઈ ત્રણ બહેનમાં બીજા નંબરનો છું મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. હું ખેતી મજૂરીનું કામ કં છું. મારા કાકાના દીકરા ભાવેશ ધરમશીભાઈ ધોરીયાએ 10 દિવસ પહેલા અમારા ગામની કેશાભાઈ મનજીભાઈની દીકરી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે. ગઈકાલે એક મરણના દાખલા અંગેનું એક કામ હોવાથી હું વાંકાનેર મામલતદાર કચેરીએ ગયો હતો.
જ્યાં કેશાભાઈના ભાઈનો દીકરો વિપુલ કરશનભાઈ અને બીજા બે ત્રણ લોકો મારી પાસે આવ્યા હતા. ભાવેશના પ્રેમ લગ્ન બાબતે સમાધાનની વાતચીત કરી હતી. પછી મને બળજબરીથી બ્રેજા કારમાં બેસાડ્યો હતો અને દીધલીયા ગામની વાડીમાં લઈ ગયા હતા જ્યાં લોખંડના સળિયા અને પાઇપ તેમજ ધોકા વડે મને માર માર્યો હતો.
દરમિયાન મારા અપરણ અંગે પરિવારજનોને જાણ થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચતા આ લોકોએ મને ગાડીમાં બેસાડીને પરત લઈ ગયા હતા રસ્તામાં હું બેભાન થઈ ગયો હતો મારી આંખ ખુલી ત્યારે હું કરશનભાઈના ઘરની ડેલી પાસે પડ્યો હતો. પોલીસે રૂપાભાઈનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભીમગુડાનો યુવાન પડી જતા ઈજા
વાંકાનેરના ભીમગુડા ગામે રહેતા મેહુલભાઈ મનસુખભાઈ સારલા (ઉ.30) નામનો યુવાન રફાળેશ્વર નજીક આવેલ બંધ પડેલા સીરામીક કારખાનાની અંદર કોઈ કારણોસર પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે…

