પાકી દુકાનો બનાવી ભાડે આપી દીધી
વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળામાં આઇ.ઓ.સી.એલ. પેટ્રોલ પંપની બાજુની જમીનમાં રાજકોટના શખ્સે મુંબઇ રહેતા મહિલા માલીકીની જમીન ઉપર ૧૯૬.૩૬ ચો.મી. જમીન ઉપર ગેર કાયદેસર રીતે પાકી બિલ્ડીંગ તથા દુકાનો બનાવી દુકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવી જમીન ગેર કાયદેસર રીતે પચાવી પાડી તથા કબ્જો કરવાનો ગુન્હો નોંધાયો છે…


જાણવા મળ્યા મુજબ ઘાટકોપર-ઇસ્ટ, મુંબઇ રહેતા રશ્મિબેન વીશનજી ઠક્કર (ઉ.વ.૬૬) એ ફરીયાદ લખાવેલ છે કે મ્હે. મોરબી જીલ્લા, ક્લેક્ટરશ્રીએ એફ.આઈ. આર. દાખલ કરવા હુકમ કરેલ છે…
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના સર્વે નંબર ૨૩ ની ૩૫૪૨ ચોરસ મિટર (એકર ૦૦-૩૫ ગુંઠા) બીન ખેતીની જમીન ફરિયાદીના માતા નિર્મળાબેન વસંતજી ઠક્કરે જાદવજી પોપટભાઈ લુહાણા રહે. મહિકા, તા.વાંકાનેર વાળા પાસેથી સને ૧૯૬૮ માં ખરીદ કરેલ હતી, આ જમીનમાંથી ૧૬૦ * ૧૪૧ ચોરસ ફૂટ જમીન (૨૨૫૬૦ ફુટ) (૨૧૭૦ ચોરસ મિટર) સને ૧૯૬૯ માં એમના માતાએ આઈ.ઓ.સી.એલ. કંપનીને ભાડા પેટે આપેલ હતી
કંપનીને ભાડા પેટે જે જમીન આપેલ છે, તેના કરતા વધારે જમીન ઉપર કબ્જો કરેલ છે, તેવી જાણકારી મળતા મોરબી જીલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીમાં અરજી કરેલ, જેની તપાસ વાંકાનેર મામલતદારશ્રીએ કરેલ અને તપાસ દરમ્યાન આઇ.ઓ.સી.એલ. પેટ્રોલ પંપની બાજુમાં ૧૦૪.૮૭ ચો.મી. જમીનમાં બિલ્ડીંગ અને ૯૧.૪૯ ચો.મી. જમીન ઉપર પાકી દુકાનો આઈ.ઓ.સી.એલ. કંપનીના પંપનું સંચાલક વિરમભાઇ ઘેલાભાઈ ભરવાડ રહે. રાજકોટ વાળાએ બનાવી ગેર કાયદેસર રીતે કબ્જો કરેલ હોવાનું જણાઈ આવેલ હતુ.
ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ નોંધી આગળની કાર્યવાહી પોલીસ ખાતાએ શરૂ કરેલ છે…

