આર્થિક વળતર મેળવવાના હેતુથી અરજી કરાઈ હોવાનું જણાવતા વકીલ
હીરાસર એરપોર્ટ નજીક 17 વીઘા જમીન બાબતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સામે વારસદારના આક્ષેપ
વાંકાનેર: રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક આવેલી કરોડોની 17 વીઘા જમીનના સોદાને લઈને વિવાદ સામે આવ્યો છે. ‘લલકાર ન્યુઝ’ મીડિયા અહેવાલો મુજબ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ખરીદેલી જમીન અંગે સીધી લીટીના વારસદારે વાંધો ઉઠાવી જમીનના વેચાણમાં તેમનો વારસાઈ હક છુપાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

જો કે, રાજકોટ કલેક્ટરે વારસદારની વાંધા અરજી ફગાવી છે. કલેક્ટરના જણાવ્યા મુજબ જમીનમાં વારસાઈ હક નક્કી કરવાનો અધિકાર સિવિલ કોર્ટનો છે. બીજી તરફ, સાંસદના વકીલે વાંધા અરજીને આર્થિક વળતર મેળવવાના હેતુથી કરાયેલી ગણાવી છે. હવે વારસદાર આ મામલે સિવિલ કોર્ટનો દરવાજો ખટખટાવે છે કે નહીં તેના પર સૌની નજર છે….

