જિલ્લાની સરેરાશ કામગીરી કરતા વધુ
વાંકાનેર: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 




આ અભિયાનનો મુખ્ય હેતુ 3 વર્ષ પૂર્ણ કરનાર તમામ બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. મોરબી જિલ્લામાં કલેકટર અને ડીડીઓના સહિયારા પ્રયાસથી આ વર્ષે ગત વર્ષની તુલનાએ ત્રણ ગણા વધુ બાળકોના નામાંકન સાથે કુલ 9,652 બાળકોને આંગણવાડી પ્રવેશ માટે નોંધવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને મોરબી જિલ્લાના તમામ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આવરી લેવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર અને જિલ્લા કલેકટર સ્વપ્રિલ ખરેના માર્ગદર્શન હેઠળ હાલમાં આઈસીડીએસ (ICDS) વિભાગની ટીમો એક પણ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઘરે-રે તેમજ સીમ વિસ્તારમાં વાડી-ખેતરો અને ઝૂંપડપટ્ટીઓ સુધી પહોંચીને સઘન સર્વે કરી રહી છે. તેના જ ફળસ્વરૂપે ગત વર્ષે નોંધાયેલા 3,379 બાળકોની સામે આ વર્ષે 6,273 વધુ બાળકોની નોંધણી કરવામાં સફળતા મળી છે. હજુ પણ પ્રવેશોત્સવ સુધીમાં આ લક્ષ્યાંક 100% પૂર્ણ કરવા માટે તંત્ર એક મોટા અભિયાન તરીકે કામ કરી રહ્યું છે. હાલમાં સમગ્ર જિલ્લામાં 9,652 બાળકોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
મોરબી જિલ્લામાં આ વર્ષે આંગણવાડી પ્રવેશ માટે કુલ 11,982 બાળકોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 9,652 બાળકોની નોંધણી થતાં 80.55% જેટલો લક્ષ્યાંક સિદ્ધ થઈ ચૂક્યો છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ 6,273 વધુ છે. બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવા માટે જિલ્લા કક્ષાએ 7, ઘટક કક્ષાએ 30 કર્મચારીઓ તેમજ 761 આંગણવાડી કાર્યકરો દિવસ-રાત જોયા વગર પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.
તાલુકો વાંકાનેર:-
વાંકાનેર-1 કુલ લક્ષ્યાંક:1,719 – થયેલી નોંધણી: 1,482- કામગીરીની ટકાવારી 86.21%
વાંકાનેર-2 કુલ લક્ષ્યાંક:1,942 – થયેલી નોંધણી: 1,626- કામગીરીની ટકાવારી 83.77%
વાંકાનેર તાલુકાની કુલ ટકાવારી 84.99 જે મોરબી જિલ્લાની કામગીરીની ટકાવારી 80.56% કરતા વધુ છે…
