રકતદાતાઓ દ્વારા 537 બોટલ રકતદાન કરાયું
500 ફુલછોડના રોપાઓ અને 500 ચકલી ઘર, માટીના કુંડાનું પણ મફત વિતરણ
વાંકાનેર: અહીં મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિતે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં 537 બોટલ લોહી મોમીન યુવાનો દ્વારા એકત્ર કરાયું હતું. સમગ્ર ગુજરાતમાં વસતા શાંતિપ્રિય મોમીન સમાજના ધર્મગુરૂ ખાનકાહે મોમીનશાહ બાવા (રહે.)ના સજજાદાનશીન (ગાદીપતિ) અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવાસાહેબના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ રકતદાન કેમ્પમાં 537 બોટલ લોહી એકત્ર થયું હતું. સાંજે 5 વાગે શરૂ થયેલા કેમ્પમાં આ મોમીન યુવાનો ઉમટી પડતા મોડી રાત સુધી ચાલ્યો હતો.


મોમીન યુવાનો દ્વારા પોતાના ધર્મગુરૂ પ્રત્યેની પોતાની લાગણી અને પ્રેમ લોહી આપી અલગ રીતે વ્યકત કરવામાં આવ્યો હતો. કેમ્પમાં મોમીન સમાજના ડોકટરની ટીમ અને નર્સિંગ સ્ટાફે પણ પોતાની સેવાઓ આપી હતી. એક વિશેષ ઉલ્લેખનીય વાત એ છે કે આ કેમ્પમાં મોમીન સમાજના ધર્મગુરૂના દીકરા ડો.સૈયદ અલીનવાજ બાવાસાહેબ કે જેમણે હાલમાં જ એમબીબીએસની પરીક્ષા પાસ કરી છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. ધર્મગુરૂના દીકરી ડો. સાદીયાપરવીન વી. સૈયદ (એમ.એસ.- જનરલ સર્જન)એ પણ પોતાની સેવાઓ આપી હતી.

આ સિવાય અન્ય સેવાકીય પ્રવૃતિઓમાં બીમાર દર્દીઓ માટે મેડીકલ સાધનો જેમાં હોસ્પિટલ બેડ, વોકર, ટોયલેટ ચેર, બાળકો અને મોટા લોકો માટે નેબ્યુલાઈઝર સહિતની વસ્તુઓ નિ:શુલ્ક ખુલી મૂકવામાં આવી હતી. તેનો લાભ લેવા બીમાર જરૂરીયાતમંદ લોકોને અપીલ કરવામાં આવી હતી. બ્લડ કેમ્પની સાથે અન્ય સેવાકીય પ્રવૃતિઓમાં 500 ફુલછોડના રોપાઓ અને 500 ચકલી ઘર, માટીના કુંડાનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મોમીન સમાજના યુવાનો અને મારવેલ ગ્રુપના તાલુકાભરના મિત્રોએ મહેનત કરી હતી અને પોતાના પીરના જન્મ દિવસને અનોખી રીતે ઉજવ્યો હતો.

