હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
વીજ કંપનીની ફરજ છે કે કરંટ બહાર નીકળતો અટકાવવા માટે સલામતી પગલાં લે
ઘેટાં-બકરાં ચરાવતો ઝાડની ડાળીઓમાંથી પસાર થતી લાઈનના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું
અમદાવાદ: એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે,વીજ કરંટથી મૃત્યુ કેસમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર ગણાય, મૃતક પર બેદરકારીનો દોષ કાઢીને કંપની છટકી શકે નહીં. આ કેસમાં કોર્ટ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (GETCO) દ્વારા 31-1-2012ના રોજ પસાર કરાયેલા ચુકાદાને પડકારતી અપીલની હાઇકોર્ટ સુનાવણી કરી રહી હતી. જેમાં GETCOને ગેમરસિંહ સોઢાના મૃત્યુ માટે દાવો દાખલ થયાની તારીખથી 9% વાર્ષિક વ્યાજ સાથે રૂ.9,40,000 ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે હાઇકોર્ટે કંપનીની અપીલ રદ કરી છે.

હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ આ કેસમાં ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે જ્યારે વીજ લાઇન દ્વારા પ્રસારિત થતો કરંટ કોઈ માનવીને ઇજા પહોંચાડે અથવા મૃત્યુ પામે છે અથવા તો અજાણતાં તેના સંપર્કમાં આવે છે ત્યારે પીડિતને વળતર આપવાની સંપૂર્ણ જવાબદારી વીજ કંપનીની છે. વીજ વાયર દ્વારા પસાર થતાં કરંટથી ખતરનાક પરિમાણની સંભાવના હોય છે. વીજ કંપનીની ફરજ છે કે આવી રીતે કરંટ બહાર નીકળતો અટકાવવા માટે તમામ સલામતી પગલાં લે અથવા ખાતરી કરે કે આવા વાયર માનવ માટે જોખમ ઊભું ન કરે.


આ કેસની હકીકત મુજબ મૃતક ગેમરસિંહ સોઢા માલધારી (પશુપાલક) તરીકે કામ કરતા હતા. જ્યારે તેઓ ઘેટાં-બકરાં ચરાવી રહ્યાં હતાં અને ખુલ્લા ટ્યૂબવેલ પાસે પહોંચ્યા ત્યારે પવનને કારણે તેઓ એક ઝાડની ડાળીઓમાંથી પસાર થતી 66 k.v. વીજળીની લાઈનના સંપર્કમાં આવ્યા હતા. જેના લીધે કરંટ લાગવાથી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે GETCOએ દાવો કર્યો હતો કે મૃતકની બેદરકારીને કારણે આ ઘટના બની હતી. જો મૃતકે યોગ્ય કાળજી લીધી હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. તેથી કેસમાં કંપનીએ દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે GETCO સામે બેદરકારીનો નિર્ણય લેવામાં ગંભીર ભૂલ કરી છે. જોકે હાઇકોર્ટે આ અપીલ રદ કરી છે…

