સાત નાલા પાસેની ઘટના
પત્રકાર જાકીર રાઠોડે ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી
વાંકાનેર: ગત મોડીરાત્રે વાંકાનેરના અમરસર અને વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે ઉતરતા ઢાળમાં આવેલા સાત નાલા પાસે રેલ્વે ટ્રેક પર પસાર થઇ રહેલ ગાયોના ટોળાને ઉપરથી નીચે તરફના ઢોળાવ તરફ આવી રહેલી પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા ચારથી વધુ ગાયોના મોત થયા હતા.



આ સાત નાલા સ્થળનો રેલ્વે ટ્રેક ગાયો-પશુઓના મોતોના અકસ્માત માટે પ્રથમથી જ પંકાયેલો છે. રાજકોટ ટ્રેક પરથી આવતી ટ્રેને અમરસર સ્ટેશનથી વાંકાનેર સિટી સુધી રેલ્વે ટ્રેકનો ઉતરતો ઢાળ હોઇ ગત રાત્રે ચારથી વધુ ગાયોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટના બની ત્યારે પત્રકાર મહંમદભાઇ રાઠોડને જાણ થતા તેમના પુત્ર જાકીર રાઠોડ અને તેની યુવા ટીમે જઇ ત્યાં ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી. ઘટના બાદ રાજકોટ તરફથી આવી રહેલી આ પેસેન્જર ટ્રેન બે કલાક સુધી થંભી ગઇ હતી. રાત્રે ૧૦ વાગ્યા પછી પશુઓના અકસ્માતની આ ઘટના બની હતી. રેલ્વે તંત્રને જાણ થવા છતા રાત્રે બાર વાગ્યા સુધી રેલ્વે તંત્રના કોઇ અધિકારી ઘટના સ્થળે જોવા મળ્યા નહોતા.

