આરોપીઓ ભોજપરા, વાદી વસાહતના
રોકડ રકમ, ગુનામાં વપરાયેલી કાર જપ્ત
ખેડૂતને બરકત વધારી દેવાનું કહી રોકડ મેળવી નાસી છૂટ્યા હતા
આરોપી બહાદુરનાથ વિરુદ્ધ આ પ્રકારે છેતરપિંડીના ત્રણ મળી કુલ 9 ગુના નોંધાયા છે
રાજકોટ જિલ્લાના લોધિકાના ચાંદલી ગામે સાધુનો વેસ ધારણ કરી ગયેલા ચાર શખ્સોની ટોળકી ખેડૂત પાસે રૂ. 90 હજારની રોકડ મેળવી નાસી છૂટી હતી. બરકત વધારવાનું કહી ખેડૂત પાસે તિજોરીમાં રહેલા રોકડ નાણાં મંગાવી કીયા કારમાં નાસી ગયેલી ચાર શખ્સોની વાદી ગેંગને લોધિકા પોલીસની ટીમે દબોચી લઈ રોકડ રકમ રિકવર કરી રૂ. 6.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે જોઈએ તો લોધિકાના ચાંદલી ગામે રહેતા 60 વર્ષીય વૃદ્ધ ખેડૂત વિનોદભાઈ વસોયા ગઇ તા. 25ના રોજ વિનોદભાઈ પોતાના ખેતરે હતા. ત્યારે કારમાં ચાર શખ્સો ત્યાં પહોંચ્યા હતા.





















જેમાંથી ત્રણે આરોપીઓએ સાધુઓને સ્વાંગ રચ્યો હતો અને બેટા હમે તુમ્હારે ઘર ખાના હૈ તેમ કહેતા વિનોંદભાઈએ તત્કાળ ઘરે તેમના ભોજનની વ્યવસ્થા કરાવી હતી. ત્યાર પછી ચારેય આરોપીઓને પોતાના ઘરે લઈ જઈ જમાડયા હતા. જે દરમિયાન આરોપીઓએ ઘરમાં બરકત વધારી દેવાનું કહી ખેડૂત પાસે બંડલમાંથી એક નોટ આપવાનું કહ્યું હતું. આ પછી બીજુ પણ બંડલ મગાવ્યું હતું હતું. ધુતારાઓએ બરકત વધારવાની લાલચ આપી ખેડૂતને વાતોમાં મશગુલ રાખી રૂ.90 હજારની રોકડ મેળવી ફરાર થઇ ગયા હતા.
જે અંગે ખેડૂતે લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલામાં લોધીકા ઇન્ચાર્જ પીઆઇ ઇંદ્રજીતસિંહ સરવૈયાની ટીમે કાર નંબરના આધારે તપાસ આગળ ધપાવી સીસીટીવી કેમેરા મારફતે કારને ટ્રેક કરી ચારેય આરોપીઓને વાંકાનેરથી ઝડપી લીધા હતા. જેમાં બહાદુરનાથ સૂરમનાથ પરમાર (ઉ.વ.30), ધર્મનાથ પોપટનાથ પરમાર (ઉ.વ.38), સાયરનાથ કનવરનાથ પરમાર (ઉ.વ.30) અને તૌફાનનાથ પોપટનાથ પરમાર (ઉ.વ.44 રહે તમામ ભોજપરા, વાદી વસાહત, વાંકાનેર, મોરબી) નો સમાવેશ થાય છે.
પોલીસે રૂ. 90 હજારની રોકડ અને ગુનામાં વપરાયેલી કીયા સેલ્ટોસ કાર જેના નં. જીજે-03-એમઈ-5210 મળી કુલ રૂ. 6.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી બહાદુરનાથ વિરુદ્ધ આ પ્રકારે છેતરપિંડીના ત્રણ મળી કુલ 9 ગુના નોંધાયા છે. આરોપી ધરમનાથ વિરુદ્ધ એક જ્યારે આરોપી તૌફાનનાથ વિરુદ્ધ પણ એક ગુનો નોંધાયો છે. ચારેય આરોપીઓએ અન્ય કોઈ સ્થળે આ રીતે છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે હવે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

