નવી ખરીદી કિંમત અમલમાં
ડુંગળી ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ
કેન્દ્ર સરકાર દ્વારા ભાવ સ્થિરીકરણ ભંડોળ (PSF) યોજના હેઠળ દર વર્ષે ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગયા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી.




કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડુંગળી ખરીદી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્તમાન બજાર ભાવ અને સંગ્રહ માટે જરૂરી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ડુંગળીની ખરીદી કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1,650 નક્કી કરવામાં આવી છે, જેનો સીધો અર્થ રૂપિયા 16.50 પ્રતિ કિલોગ્રામ થાય છે.

ખેડૂતોની માંગ હતી કે સરકાર ઓછામાં ઓછો રૂપિયા 3,000 પ્રતિ ક્વિન્ટલ ( રૂપિયા 30 પ્રતિ કિલોગ્રામ) ખરીદી ભાવ જાહેર કરે. જોકે સરકારે હાલ ખરીદી કિંમત વધારીને ₹1,650 પ્રતિ ક્વિન્ટલ કરી છે.
સરકાર દર વર્ષે બફર સ્ટોક બનાવવા માટે ડુંગળીની ખરીદી કરે છે. જ્યારે બજારમાં ડુંગળીના ભાવમાં અચાનક વધારો થાય ત્યારે આ સ્ટોક બજારમાં મુક્ત કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને રાહત મળે અને ભાવ નિયંત્રણમાં રહે. સાથે જ ખેડૂતોને તેમના પાક માટે વાજબી ભાવ મળે તે પણ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
સરકારી આંકડા મુજબ, 2025-26 પાક વર્ષ દરમિયાન દેશનું ડુંગળી ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે અગાઉના 2024-25 પાક વર્ષમાં 307.67 લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું. એટલે કે ઉત્પાદન લગભગ સ્થિર રહેવાની શક્યતા છે…

