ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સફળ રજૂઆત
નર્મદાના નીર પહોંચાડવા 197.89 કરોડની વહીવટી મંજૂરી બાદ ટેન્ડર પ્રસિદ્ધ
વાંકાનેર: તાલુકાના ખેડૂતો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતોને પગલે, લુણસર મહાલના 34 જેટલા ગામોમાં સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે નર્મદાનું પાણી પહોંચાડવા માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.



શરૂઆતમાં 28 ગામો માટે 177 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી ડિસેમ્બર 2023 માં આપવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીની મુલાકાત દરમિયાન વધુ 6 ગામોનો સમાવેશ કરવામાં આવતા હવે કુલ 34 ગામોને આ યોજનાનો લાભ મળશે.
આ 34 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ આપવાની યોજનાના વિગતવાર સર્વેક્ષણ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ નકશા-અંદાજોને સરકાર દ્વારા 12-02-2026 ના રોજ 197.89 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ 23-03-2026 ના રોજ 188.05 કરોડ રૂપિયાની તાંત્રિક મંજૂરી પણ આપવામાં આવી છે.
હાલમાં આ કામના 159.82 કરોડ રૂપિયાના એસ.બી.ડી. (ડી.ટી.પી.) ને સરકાર દ્વારા 24-03-2026 ના રોજ મંજૂરી મળતા, આ કામની જાહેર નિવિદા (ટેન્ડર) પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. ટેન્ડરની સમયમર્યાદા પૂર્ણ થયે, તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ યોજના સાકાર થવાથી વાંકાનેર પંથકના ખેડૂતોની સિંચાઈના પાણીની મોટી સમસ્યા હલ થશે.

