સરપંચને ફડાકા માર્યા
આરોપી તળાવમાંથી માટી ઉપાડવાનુ કામ રાખવા માંગે છે
વાંકાનેર: તીથવાના સરપંચે તીથવા કુંડલીના ખારા નામથી ઓળખાતા તળાવને ઉંડુ ઉતારવાનુ કામ મંજુર થઇ આવેલ હોય, સામેવાળા આરોપી તળાવમાંથી માટી ઉપાડવાનુ કામ રાખવા માંગતા હોય આ બાબતે ચર્ચા કરવા માટે પંચાયત સભ્યો ભેગા થયેલ હતા ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી સરપંચને ગાલ પર બે ફડાકા મારી દઈ અન્યને ફોન કરી બોલાવતા એકસંપ કરી ગાળો આપી અન્યોને ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે….




જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામના સરપંચ ઇસ્માઇલભાઈ આહમદભાઈ પરાસરા (ઉ,વ, ૬૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૯/૦૫/૨૦૨૬ ના હું તથા મીમનજીભાઈ આહમદભાઇ પટેલ બન્ને સવારના તીથવા ગામે ચોરા પાસેની મારી દુકાને બેઠેલ હતા તે વખતે મનુભાઈ વશરામભાઈ વાઘેલા મારી દુકાને આવેલ અને મને પુછેલ કે ‘કુંડલીના ખારાનુ તળાવ ઉંડુ ઉતારવાની ગ્રાન્ટ જીલ્લા આયોજનની આવેલ છે તે બાબતે શું કરવાનુ છે?’ મેં જણાવેલ કે ‘હું એકલો કંઇ નિર્ણય ન કરી શકું- આજે રાતે ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં નક્કી કરશુ’ અમે પંચાયતની ઔપચારીક મીટીંગ રાખેલ, જેમાં હું તથા ઉપસરપંચ અબ્દુલભાઇ આહમદભાઈ પટેલ, સભ્યો ઇર્શાદભાઈ અબ્દુલભાઇ વકાલીયા, મહિલા સભ્યના પતિ નીજામુદિન રહેમાનભાઇ શેરસીયા, નુરમામદભાઇ અમીભાઇ વકાલીયા, મીમનજીભાઈ આહમદભાઇ પટેલ તથા ગ્રામજનો કલ્પેશભાઇ સાદુરભાઈ ફાંગલીયા, મનુભાઇ વશરામભાઈ વાઘેલા તથા મનુભાઇનો દિકરો મયુર મનુભાઈ વાઘેલા બધા મારી ચેમ્બરમાં મળેલ, અને કુંડલીના ખારાનું તળાવ ઉંડુ ઉતારવાનુ કામ જીલ્લા આયોજનમાંથી મંજુર થઇ આવેલ હોય અમારા ગામના ખેડુતોને વધુને વધુ લાભ મળે તે બાબતે જાગૃત કરવા ચર્ચા કરતા મનુભાઇ વશરામભાઈ વાઘેલા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મને કહેલ કે ‘ઉપરથી ગ્રાન્ટ મેં મંજુર કરાવેલ છે- તારે એગ્રીમેન્ટ કરી કામ મને જ આપવાનુ છે’ મેં મનુભાઈને આ રીતે કામ નહિ આપવામા આવે તળાવની માટીનો ખેડુતો માટે ઉપયોગ કરવામા આવશે અને પંચાયત હસ્તક લોકહિતમાં કામ કરવામા આવશે’ એવુ કહેતા સારૂ નહિ લાગતા મનુભાઇએ મને કહેલ કે ‘હું તારા હાથ પગ ભાંગી નાખીશ અને એટ્રોસીટીની ફરિયાદ કરીશ’ મનુભાઈ મને ગાળો દેવા લાગેલ કે ‘તું ખોટી જગ્યાએ ભરાઇ ગયેલ છો’ એવુ કહી મને બે લાફા મારી દેતા ઝપાઝપી મારામારી થયેલ
આ વખતે મયુર મનુભાઇએ તેના મોબાઇલ ફોનમાંથી ફોન કરતા અમૃત વીરજીભાઇ વાઘેલા, અશ્વીન જયંતિભાઈ વાઘેલા, રણજીતભાઈ અમૃતભાઇ વાઘેલા (રહે. બધા તીથવા) આવેલ અને અમારા પક્ષના માણસોને ઢીંકાપાટુનો માર મારવા લાગેલ, આ વખતે મારો દિકરો કૌશરરજા તથા ભત્રીજો મુબીન હુશેનભાઈ પરાસરા, અહેમદરજા હુશેનભાઇ ૫રાસરા મારી દુકાને હાજર હોય દેકારો સાંભળી પંચાયત ઓફિસે આવેલ અને અમોને બચાવવા વચ્ચે પડતા આ બધા તેઓને પણ જેમ ફાવે તેમ ઢીંકાપાટુ મારવા લાગેલ, આજુબાજુના માણસો ભાગે થતા બન્ને પક્ષને સમજાવી અલગ પાડેલ હતા, ત્યારબાદ આ મનુભાઈ તથા તેની સાથે માણસો અમોને જાનથી મારી નાખવાની ધમકી આપી પંચાયત ઓફિસેથી જતા રહેલ,
આ બનાવમા કૌશરરજા તથા મુબીન હુશેનભાઇને મુંઢ ઇજાઓ થયેલ હોય ૧૦૮ માં બન્નેને વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવારમાં દાખલ હતા. અને ત્યાંથી રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ
(૧) મનુભાઇ વશરામભાઇ વાઘેલા (૨) મયુર મનુભાઈ વાઘેલા રહે બન્ને હાલ વાંકાનેર મુળ રહે તીથવા (૩) અમૃત વીરજીભાઈ વાઘેલા, અશ્વીન જયંતિભાઇ વાઘેલા, રણજીતભાઇ અમૃતભાઈ વાઘેલા રહે. બધા તીથવા સામે પોલીસ ખાતાએ ગુનો ભારતીય ન્યાય સહિતા અધિનીયમ-૨૦૨૩૨૦૨૩ની કલમ-૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨)(૩), ૧૮૯(૨), ૧૯૦, ૧ ૯૧(૨) મુજબ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
