મહેસુલ વિભાગ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરોને પરિપત્ર
વાંકાનેર: રાજ્યભરની મહેસુલી કચેરીઓમાં એક જ ટેબલ પર ત્રણ વર્ષ કે તેથી વધુ સમય ચીપકી રહેલા મહેસુલી કર્મચારીઓની આંતરિક બદલી કરવા માટે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવેલ છે…

આ અંગે મહેસુલ વિભાગના સેક્શન અધિકારી રવિ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરોને ખાસ પરિપત્ર પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. મહેસુલ વિભાગના સૂત્રોએ આ મામલે જણાવ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગના તા.25 નવેમ્બર-2005ના ઠરાવ અંતર્ગત મહેસુલી કચેરીઓમાં કોઇપણ અધિકારી કે કર્મચારીને એક જ ટેબલ પર લાંબો સમય ચાલુ નહીં રાખવાની ખાસ જોગવાઇ કરવામાં આવી છે.
તેમ છતાં મહેસુલ વિભાગ દ્વારા તા.1 જુલાઇની સ્થિતિ અનુસાર આ અંગે કરાયેલ સમિક્ષા દરમિયાન એવું ધ્યાન પર આવેલ કે રાજ્યની મહેસુલ કચેરીઓમાં કેટલાક નાયબ મામલતદારો, મહેસુલી, કારકુનો, મહેસુલી તલાટી ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચીપકીને બેઠા છે. જેના કારણે વહીવટી કાર્યોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના દૂષણોને પણ વેગ મળતો હોય તેની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કડક વલણ અપનાવ્યું છે.
મહેસુલ વિભાગના આ પરિપત્રના પગલે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટર હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓની યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવા માટે હુકમ કરવામાં આવેલ છે. અને આ બાબતનો રિપોર્ટ પણ મહેસુલ વિભાગને મોકલી આપવા કલેક્ટરોને તાકિદ કરી દેવામાં આવી છે…

